વૉશિગટન: વૈશ્વિક મહામારી પર કામ કરી રહેલા અમેરિકાના ડૉક્ટર એન્થોની ફાઉચીએ ભારતની સ્થિતિ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે દેશમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે અમુક અઠવાડિયા સુધી લૉકડાઉનની સલાહ આપી છે. આ દરમિયાન તેમણે દેશમાં રસીકરણની સ્થિતિ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. ડૉક્ટર ફાઉચી અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન તંત્રના મુખ્ય ચિકિત્સા સલાહકાર છે. ભારતમાં કોવિડની સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. શનિવારેદેશમાં ચાર લાખથી વધારે કેસ નોંધાયા છે. આ સાથે જ મોતનો આંકડો પણ વઘી રહ્યો છે.
અંગ્રેજી વર્તમાનપત્ર ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા ડૉક્ટર ફાઉચીએ દેશમાં કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ત્રણ તબક્કામાં, તત્કાલ, મધ્ય અને લાંબી અવધિના ઉપાયો સૂચવ્યા છે. તેમણે કહ્યું કે, આ સમયે લોકોને રસી આપવી ખૂબ જ જરૂરી છે. જ્યારે તેમણે ઑક્સીજન અને અન્ય સ્વાસ્થ્ય ત્રૂટીઓમાંથી બહાર નીકળવા માટે એક ઇમરજન્સી જૂથ તૈયાર કરવાની સલાહ આપી હતી.
તેમણે કહ્યુ કે, “આ લોકો નક્કી કરશે કે ઑક્સિજન કેવી રીતે મેળવવાનો છે, તેની વહેંચણી કેવી રીતે કરવી છે, કેવી રીતે દવા મળશે.” ડૉક્ટર ફાઉચીએ ભારતને WHO તેમજ વિશ્વના અન્ય દેશો સાથે વાતચીત કરવાની પણ સલાહ આપી છે.
મધ્યમ સ્તર પર કામ કરવા અંગે તેમણે કહ્યુ કે, ઝડપથી હૉસ્પિટલો તૈયાર કરવી જોઈએ. તેમણે યુદ્ધ દરમિયાન તૈયાર કરવામાં આવેલા ફિલ્ડ હૉસ્પિટલ મૉડલનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન તેમણે ચીનનું ઉદાહરણ આપ્યું હતું. સાથે જ અમેરિકાનો અનુભવ જણાવતા ભારતમાં સેનાની મદદ લેવાની સલાહ આપી હતી.
આ સાથે જ લાંબા ગાળાના પગલાં અંગે ડૉક્ટરે ફાઉચીએ કહ્યુ કે, વધુમાં વધુ લોકોને રસી આપવી જરૂરી છે. તેમણે કહ્યું કે, પહેલા તાત્કાલિક પરેશાની થઈ રહી હોય તેને સમજો, બાદમાં મધ્યમ સ્તરની વસ્તુઓ પર ધ્યાન આપો, જે બાદમાં વેક્સીન સંબંધી લાંબી અવધિના ઉપાયો પર વિચાર કરો.
ભારતમાં કોવિડને રોકવા માટે ડૉક્ટર ફાઉચીએ લૉકડાઉનને ખૂબ જરૂરી ગણાવ્યું હતું. વર્તમાનપત્ર સાથે વાતચીત કરતા ડૉક્ટર ફાઉચીએ જણાવ્યું કે, ભારતને છ મહિના સુધી શટડાઉન કરવાની જરૂર નથી. તમે ટ્રાન્સમિશન રોકવા માટે અસ્થાયી શટડાઉન કરી શકો છો.
તેમણે કહ્યું કે જ્યારે તમે છ મહિના માટે શટહાઉન કરો છે ત્યારે તે વાત કોઈને નથી ગમતી. જો તમે આને થોડા અઠવાડિયા સુધી પણ કરશો તો તેની અસર જોવા મળશે.