વડોદરામાં ભાજપનાં વોર્ડ નં 3નાં કાઉન્સિલર છાયા ખરાડી પર ગંભીર આરોપ લાગ્યા છે. એકલવાયું જીવન જીવતાં વૃદ્ધનું વસિયતનામું બનાવી તેમાં વારસદાર તરીકે પોતાની દીકરીનું નામ ઉમેરી મિલકત પોતાની દીકરીનાં નામે કરાવી દેવાનો ગંભીર આરોપ ફરિયાદી દ્વારા કરવામાં આવ્યો છે. જો કે, મહિલા કાઉન્સિલર અને તેમની દીકરીએ આક્ષેપોને નકારી વડીલે સ્વેચ્છાએ વસિયતનામું કર્યું હોવાનો ખુલાસો કર્યો છે, અને આ આખું પ્રકરણ રાજકીય પ્રતિષ્ઠા ખરડવા ઉભુ કર્યું હોવાનું જણાવ્યું છે.
મળતી માહિતી અનુસાર વડોદરાનાં સમા સાવલી રોડ પર આવેલ અજિતાનગર સોસાયટીમાં રહેતાં 64 વર્ષીય ગોપાલભાઇ શાહે ગંભીર આક્ષેપો કરતાં કહ્યું છે કે, કોરોનાકાળમાં તેમની બિમારી દરમ્યાન તેમની સેવા અને મદદે આવતાં ભાજપનાં કાઉન્સિલર છાયાબેન ખરાડી અને તેમની દીકરી નીતિએ તેમની જાણ બહાર તેમની પાસે વસિયતનામું તૈયાર કરાવી તેમની મિલકત લખાવી લીધી હતી. જેથી તેમની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઇએ. આ અંગે ગોપાલ શાહ દ્વારા શહેર ભાજપ પ્રમુખ ઉપરાંત મુખ્યમંત્રીને પણ પત્ર લખી ફરિયાદ કરી છે.
ભાજપનાં મહિલા કાઉન્સિલર છાયાબેન ખરાડી અને તેમની દીકરીએ મીડિયા સામે સ્પષ્ટતા કરી હતી અને વડીલ દ્વારા તેમની સામે કરાયેલા આક્ષેપોને નકારી કાઢ્યા હતાં. તેમને કહ્યું કે, ગોપાલભાઇ શાહે સ્વેચ્છાએ વીલ કરી વસિયતનામામાં વારસદાર તરીકે તેમની મરજીથી નામ દાખલ કર્યા હતાં. જેનાં તેમની પાસે સરકારી સહિતનાં પુરતાં પુરાવા પણ છે અને તે વીલ રદ્દ કરે 6 મહિના જેટલો સમય પણ થઈ ગયો છે. તો પ્રશ્ન એ છે કે આટલા સમય પછી આ મુદ્દો ઉછાળવા પાછળ કોનો દોરી સંચાર છે?