નવી દિલ્હીઃ 26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસામાં ટ્વીટર ઉપર વિવાદિત યુઝર્સોને બેન કર્યા બાદ ફરીત એક્ટિવ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ટ્વિટરના વલણથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ભારત સરકાર હવે સોશિયલ મીડિયા કંપનીઓ ઉપર નિયંત્ર રાખવા માટે તૈયારીઓ કરી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને નવા નિયમો બનાવી રહ્યું છે.
વિશ્વભરના વિવિધ દેશો દ્વારા શક્તિશાળી ટેક કંપનીઓને નિયંત્રિત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રકમની ચુકવણીના મુદ્દા પર ગયા અઠવાડિયે જ ફેસબુકને ઓસ્ટ્રેલિયામાં સરકાર સાથે મુકાબલો કરવો પડ્યો હતો. ફેસબુકે ઓસ્ટ્રેલિયાના તેના પ્લેટફોર્મ પર સમાચારોના પેજ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ બાદ આખી દુનિયામાં ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
ભારતમાં પણ ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડુતોના આંદોલન દરમિયાન કેટલાક ટ્વીટ્સને સરકારે દૂર કરવા અને આવા ટ્વિટર હેન્ડલ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. ટ્વિટરે સરકારના આદેશનું પાલન ના કરવા માટે વિવિધ નિયમો ટાંકીને ના પાડી હતી. નવી દિલ્હીએ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન થાય તે માટે અને સોશ્યલ મીડિયા પર નિયંત્રણ રાખવા માટે સરકારે ‘ઇન્ટરમીડિયેટ ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ’ તૈયાર કર્યો છે. આ નિયમોથી ફેસબુક-ટ્વિટર જેવી સોશ્યલ મીડિયા કંપનીઓ સાથે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ જેવા વેબ મનોરંજન પ્લેટફોર્મ પર નિયંત્રણ લાવવાનો માર્ગ ખુલ્યો છે.
નિયમો અનુસાર વેબ કંપનીઓએ ભારતના બહુરાષ્ટ્રવાદી અને બહુ-વંશીય સમાજને ધ્યાનમાં લેતા, કોઈ વંશીય અથવા ધાર્મિક જૂથના વિચારો સાથે સંબંધિત કોઈપણ પ્રવૃત્તિઓ, માન્યતાઓ અથવા પ્રવૃત્તિઓને કાળજીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક ધ્યાનમાં લેવી પડશે. નવા નિયમોમાં વેબ સિરીઝના કન્ટેન્ટ સાથે વાય આધારિત રેટિંગ અને સલાહ ફરજીયાત થશે.
આ નિયમો અંગે ફેસબુક, ટ્વિટર અને કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક એન્ડ માહિતી ટેકનોલોજી મંત્રાલયે કોઈ ટીપ્પણી કરી નથી. આ નિયમો ક્યારે લાગુ કરવામાં આવશે તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે સૂત્રોના જણાવ્યા મુજબ આનાથી ભારતમાં મોટી ટેક કંપનીઓની રોકાણ યોજનાઓને મોટો ફટકો પડશે.
આવનારા નવા નિયમો ઉપર એક નજર
આદેશ બાદ વધુમાં વધુ 36 કલાકની અંદર વિવાદિત સામગ્રીને પ્લેટફોર્મ પરથી દૂર કરવી આવશ્યક.
કોઈપણ તપાસ અથવા સાયબર સુરક્ષા ઘટનામાં રીક્વેસ્ટના 72 કલાકની અંદર માહિતી આપવી આવશ્યક.
અશ્લીલ સામગ્રી અથવા વર્તન સંબંધિત પોસ્ટ્સને ફરિયાદના એક દિવસની અંદર દૂર કરવી પડશે.
કંપનીઓએ મુખ્ય પાલન અધિકારી અને ફરિયાદ નિવારણ અધિકારી તૈનાત કરવાના રહેશે, જે ભારતીય નાગરિક હશે.