કોરોનાના કહેર વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદોમાં સપડાતી જાય છે. આજે ફરી સિવિલ હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારી સામે આવી છે. જ્યાં મૃતદેહના અંતિમસંસ્કાર થઈ ગયા છતાં બીજા દિવસે વહેલી સવારે 4 વાગ્યે પરિવારજનને ફોન આવ્યો કે ડેડબોડી લઇ જાો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે આ જ રીતે જીવતા વૃદ્ધાનું ડેથ સર્ટિફિકેટ પરિવારને આપી ડેડબોડી બીજાની આપી હતી. જોકે પરિવારને ફોટો બતાવતાં જ તેમણે કહ્યું કે આ વૃદ્ધા અમારાં નથી અને ડેડબોડી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પરિવારે સમયસૂચકતા વાપરી ન હોત તો બીજાના અંતિમસંસ્કાર થઇ જાત. આમ, જ્યારે રાજકોટ શહેર કોવિડના સકંજામાં સપડાઈ રહ્યું છે ત્યારે રાજકોટ સિવિલના તંત્ર વાહકો જાણે ઘોર નિદ્રામાં પડ્યા હોય એવા સવાલો સામે આવી રહ્યા છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા સૂકી – ખેતીવાડી કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત અધિકારીનો ગત 2 એપ્રિલ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એ બાદ તેઓ હોમ ક્વોરન્ટીન થયા હતા. બાદમાં 4 તારીખે ઓક્સિજન લેવલ ઘટી જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા. તારીખ 8 એપ્રિલના તબિયત વધુ લથડતાં સવારે 5.45 વાગ્યે મૃત્યુ થયું હતું, એ બાદ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જોકે આ બાદ પરિવારજનોને અંતિમવિધિ માટે ફોન કરવામાં આવશે, એવું કહેવામાં આવ્યું હતું અને 8 એપ્રિલ એટલે કે ગઇકાલે બપોરના 11 વાગ્યે અંતિમવિધિ માટે મૃતદેહ પરિવારને અંતિમદર્શન કરાવી સોંપવામાં આવ્યો હતો. એ બાદ 80 ફૂટ રોડ પર આવેલા બાપુનગર સ્થિત સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
