રાજકોટ: ગુજરાતમાં કોરોના દર્દીઓની સારવાર માટે કોરોના વોરિયર્સ એવા મેડિકલ અને પેરા મેડિકલ સહિતનો સ્ટાફ ખડે પગે ફરજ બનાવી રહ્યો છે ત્યારે કેટલાક લાલચી લોકો નાની લાલચ માટે માનવતાને નેવે મૂકતા હોય છે. આવા અનેક ઘટના ભૂતકાળમાં બની છે. ત્યારે રાજકોટ શહેરની હોસ્ટેલની અંદર કાર્યરત કોવિડ હૉસ્પિટલમાં તાજેતરમાં કોરોના સંક્રમિત દર્દીનાં મૃત્યુ બાદ તેમના દેહ પરથી દાગીના, રોકડ અને મોબાઇલ સહિતની ચોરી કરનારા ત્રણ જેટલા શખ્સો ઝડપાઇ ગયા હતા. હવે રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલમાં પણ મૃતદેહ પાસે રહેલા મોબાઈલની ચોરી કરનાર સિવિલ હૉસ્પિટલના અટેન્ડન્ટની પ્રદ્યુમનનગર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેની પાસે રહેલો મોંઘાદાટ iPhone 11 કબજે કર્યો છે. તાજેતરમાં બનેલા આવા કિસ્સા પર એક નજર કરીએ.
પહેલો બનાવઃ મોબાઇલ ચોરી મામલે પ્રદ્યુમનનગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એલ. એલ. ચાવડાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી એક કોરોના સંક્રમિત મહિલાનું બીજી એપ્રિલના રોજ મૃત્યુ નીપજ્યું હતું. કોરોના સંક્રમિત મહિલા પાસે એક iPhone 11 હતો. જે તેના અંતિમ સમય સુધી તેની પાસે રહ્યો હતો. અચાનક તે ફોન ગાયબ થતાં તેના પરિવારજનોએ આ મામલાની જાણ રાજકોટ શહેરના સિવિલ હૉસ્પિટલ તેમજ પ્રદ્યુમનનગર પોલીસ ને પણ કરી હતી.
બીજો બનાવઃ રાજકોટ શહેરના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યરત સમરસ કોવિડ હૉસ્પિટલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ડી. જી નાકરાણીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ અનુસાર દર્દીનું મૃત્યુ થયા બાદ તેને ચેક કરવાનું કામ અટેન્ડન્ટ કરતા હોય છે. હાલ ત્યાં 150 લોકોનો સ્ટાફ કાર્યરત છે. જે તમામનું સુપરવાઇઝર સિંગ ગોવિંદસિંહ નામની વ્યક્તિ કરે છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી મૃતદેહ પરથી વસ્તુઓની ચોરી થતી હોવાની મૃતકોનાં સગાઓની ફરિયાદ આવતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા સમરસ હોસ્ટેલમાં ચાલતી કોવિડ હૉસ્પિટલમાં મૃતદેહ પરથી દાગીના, મોબાઈલ અને રોકડની ચોરી કરનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા.
ત્રીજો બનાવઃ ઑક્સિજન લેવલ ઓછું થતા મહિલાને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરી હતી. દાખલ થયેલી વૃદ્ધા પર વોર્ડબોય હિતેષ વિનુભાઈ ઝાલાએ દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં દાખલ થવા પામી હતી. સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે વોર્ડબોય હિતેષ વિનુભાઈ ઝાલાની ધરપકડ કરી તેના રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી હતી.
આ સમયે પોલીસ દ્વારા મહિલા જે વોર્ડમાં દાખલ હતી ત્યાં ફરજ પર હાજર રહેલા સ્ટાફની પૂછપરછ કરી હતી. સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવ્યા હતા. આ સમયે અભિલાષભાઈ મનોજભાઈ ચાવડા નામના અટેન્ડન્ટની પૂછપરછ કરતાં તે શંકાસ્પદ જણાયો હતો. જે અંતર્ગત તેની વધુ સઘન પૂછપરછ હાથ ધરતા તેણે જ ફોનની ચોરી કર્યાની કબૂલાત આપી છે. આ મામલે પ્રદ્યુમનનગર પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ પહેલા પણ તેને કોઈ કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થયા બાદ તેની પાસે રહેલા દાગીના, રોકડ કે મોબાઈલ ફોનની ચોરી કરી છે કે કેમ તે અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે.