રાજકોટ ના મોરબી રોડ ઉપર કાગદડી ગામે આવેલા ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસ બાપુ ના થયેલા ભેદી મોત પ્રકરણ માં પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે અને મહંત જયરામદાસ બાપુના રૂમમાંથી મળેલી સુસાઇડ નોટ પરથી આશ્રમ ટ્રસ્ટના જ બે ટ્રસ્ટી અને બાપુના ભત્રીજા અલ્પેશ સોલંકી અને હિતેષ જાદવ તેમજ વિક્રમ ભરવાડ નામના ઈસમો એ બાપુ ને મહિલા સાથેના વિડીયો બનાવી બ્લેક મેઈલ કરી માર મારતા મરવા મજબૂર કર્યા હોવાનો ખુલાસો થતા ભારે સનસનાટી મચી ગઇ છે.પોલીસે આ પ્રકરણમાં આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓએ બે મહિલા સાથેના મહંતના 6 આપત્તિજનક વીડિયો ઉતારી હનિટ્રેપમાં ફસાવ્યા હોવાની વાતો ઉઠતા આ પ્રકરણમાં અનેક વાતો બહાર આવવાની શક્યતા છે. આ મહિલા સાથે મહંતનો પ્રેમ સંબંધ હોવાની પણ શંકા વ્યક્ત કરાઇ છે. કારણ કે એક મહિલા આશ્રમમાં સેવા આપવા આવતી હતી.
વિગતો મુજબ દોઢેક વર્ષ પહેલા મહિલા સાથેનો આપત્તિજનક વીડિયો બનાવ્યો હતો
બાપુના રહસ્યમય મોત બાદ 6 જૂનના રોજ તેમના રૂમમાંથી સુસાઇડ નોટ મળી હતી. આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ 20 પાનાની સુસાઇડ નોટ પોલીસને સોંપી હતી. પોલીસે ટ્રસ્ટીઓના નિવેદન લીધા બાદ કરતા પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, દોઢેક વર્ષ પહેલા મહંતનો એક મહિલા સાથેનો વીડિયો બતાવી આરોપી અને ટ્રસ્ટના ટ્રસ્ટીના અલ્પેશ પ્રતાપ સોલંકી (રહે.પેઢાવાડા, તા.કોડીનાર) અને હિતેષ લખમણ જાદવ (રહે.પ્રશનાવાડા, તા.સૂત્રાપાડા, જિ.ગીર સોમનાથ) બાપુને બ્લેકમેઇલ કરી રહ્યા હતા. બાપુ પાસેથી આરોપીઓએ રૂપિયા પણ પડાવી લીધા હતા. આ કાવતરામાં રાજકોટના ગાંધીગ્રામમાં રહેતો વિક્રમ દેવજી સોહલા આરોપીઓની મદદ કરતો હોવાની વાત બહાર આવી છે.
રાજકોટનો વિક્રમ સોહલા મહંતને માર મારતો હતો જે હાલ ફરાર છે જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
30 જૂને રાત્રે રાજકોટના વિક્રમ સોહલાએ મહંતને માર માર્યો હોવાની વાત બહાર આવી છે.
છેલ્લા ઘણા સમયથી મહંત સમાધાન માટે પ્રયત્ન કરતા હતા. પરંતુ 30 જૂનના રોજ રાત્રિના સમયે બાપુને વિક્રમ સોહલા સાથે ઝઘડો થતા વિક્રમે મહંત ને માર મારઝુડ કરતા બાપુ માનસિક રીતે પડી ભાંગતા 31મેએ રાત્રિએ આશ્રમમાં આવેલી ગૌશાળાની હોસ્પિટલમાં જઇ પશુને આપવાની દવાના ટીકડા પોતાના રૂમમાં લઇ જઇ ગળી લીધા હતા. મોટા પ્રમાણમાં દવાઓ ગળી લીધા બાદ બાપુ પોતાના રૂમમાં જઇ સુઇ ગયા હતા. સવારે 6 વાગ્યે આશ્રમના સેવક પ્રવિણભાઇ બાપુને ઉઠાડવા ગયા ત્યારે તેમણે જોયુ કે બાપુ બેભાન હાલતમાં પાડ્યા છે અને તેમણે લીલા કલરની ઉલ્ટી કરી છે. આથી તેમણે તુરંત કાગદડીમાં જ રહેતા ટ્રસ્ટી રામજીભાઇ લીંબાસીયાને જાણ કરી હતી.
રામજીભાઇએ આશ્રમે આવી રાજકોટ રહેતા ટ્રસ્ટીઓને જાણ કરી હતી. જેથી ટ્રસ્ટીઓ આશ્રમ દોડી આવ્યા હતા અને બેભાન હાલતમાં રહેલા બાપુને રાજકોટની દેવ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અનુમાન છે કે, બાપુનુ રાત્રે જ મોત નીપજ્યું હતું. આ બાદ ટ્રસ્ટીઓએ કે ડોક્ટરે પોલીસને જાણ કરવાના બદલે બાપુના મૃતદેહને સીધા કાગદડી આશ્રમે લાવી દર્શન માટે તેમના મૃતદેહને રાખવામાં આવ્યા બાદ આશ્રમમાં જ અગ્નિદાહ આપી દીધો હતો અને બીજે દિવસે અમુક ટ્રસ્ટીઓ અને બાપુના અનુયાયીઓ અસ્થિ વિસર્જન કરવા માટે હરિદ્વાર પહોંચ્યા હતા. 3 જૂનના રોજ અસ્થિ વિસર્જન બાદ 6 જૂનના રોજ ટ્રસ્ટીઓ પરત કાગદડી આવ્યા હતા અને બાપુના રૂમની સાફ-સફાઇ કરતા હતા ત્યારે બાપુએ લખેલી 20 પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી.
બીજી તરફ ઝેરી દવા પીવાથી મહંતનું મોત થયું હોવાછતાં હાર્ટ એટેકથી મોત થયાનું સર્ટિફિકેટ હોસ્પિટલે આપ્યું હોવાની વાત પણ ચર્ચાસ્પદ બની છે.કારણકે પોલીસ તપાસમાં સુસાઇડ નોટ મળતા ખુલ્યું છે કે મહંતે ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. છતાં પણ દેવ હોસ્પિટલ ના તબીબો દ્વારા બાપુનું હાર્ટ એટેકથી મૃત્ય થયું છે તેવું સર્ટિફિકેટ આપી દેતા કઈક રંધાયા ની ગંધ ઉઠી છે, હોસ્પિટલના તબીબો આ પ્રકરણમાં માનવતા ચૂક્યા કે કોઇના દબાણથી આ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું છે તે મામલે પોલીસ તપાસ કરશે.
આ સુસાઇડ નોટ કુવાડવા રોડ પોલીસને સોંપવામાં આવી હતી. સુસાઇડ નોટમાં અલ્પેશ જાદવ અને વિક્રમ ભરવાડ મહિલા સાથેના વીડિયોને લઇ મહંત પાસેથી રૂપિયા પડાવતા હોવાનો અને બ્લેક મેઇલ કરતા હોવાનું ખુલ્યું હતું. બાદમાં પોલીસે સુસાઇડ નોટ ની ચકાસણી કરવા FSLમાં મોકલાઇ છે. બીજી તરફ બાપુએ કંઇ દવા લીધી હતી તે જાણવા બાપુ જ્યાં મૃત્યુ પામ્યા તે ગાદલા અને ગોદડા ઉપર લીલા કલરની ઉલ્ટીના નિશાન હોવાથી તે પુરાવા પણ FSLમાં મોકલાયા છે. આ મામલે હજુ સુધી આરોપીઓ ઝડપાયા નથી. આથી પોલીસ જુદી-જુદી ટીમ બનાવી તપાસ કરી રહી છે. જયરામદાસબાપુના અસ્થિ અને રાખ પોલીસ DNA ટેસ્ટ માટે પણ મોકલી આ રહસ્યમય કેસ ને ઉકેલવા પોલીસે કમ્મર કસી છે અને તે મહિલાઓ સહિત આરોપીઓ ઝડપાયા બાદ વધુ હકીકત ખુલવાની શકયતા વ્યક્ત કરાઇ રહી છે.