બોર્ડ ની કેવી બેદરકારી હોય તેનો દાખલો રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર જોવા મળ્યો કે જ્યાં વીરપુર નજીક ઓવરબ્રિજ પાસે રસ્તા પરથી ગુજરાતી ની ઉત્તરવહી રઝળતી હાલત માં મળી આવી છે. આ ઉત્તરવહી ધો.10ના વિદ્યાર્થીઓની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફાટેલી ઉત્તરવહી કોણ નાંખી ગયું તે તપાસનો વિષય છે. મહેસાણાના પરીક્ષાર્થીઓની ઉત્તરવહી હોવાની શંકા છે. રાત-દિવસ ઉજાગરા કરી પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓની ઉત્તરવહી રસ્તા પર રઝળતી હાલતમાં મળતા શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમજ મહેસાણાથી વિરપુર મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે ચેકીંગમાં વિજ્ઞાન વિષયની ઉત્તરવહીઓની બસ જઇ રહી હતી. ત્યારેત્રણ પાર્સલ ગોંડલ નેશનલ હાઈવે મેલડી માતાજીના મંદિર પાસે પડેલા જોવા મળ્યા હતા.આ અંગે વીરપુર પોલીસ સ્ટેશનમાં શિક્ષણ વિભાગ દ્વારા જાણવા જોગ ફરિયાદ કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. 100 પેકેટમાંથી 96 સલામત છે. પડી ગયેલા 3 પેકેટ પણ બોર્ડને સોંપવામાં આવ્યા છે. એક પેકેટમાં છૂટક પેપર લેવામાં આવ્યા હતા.
આ ઉત્તરવહીઓ કોઈ ફેંકી ગયું છે કે પછી મહેસાણાના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસવા માટે લાવવામાં આવતી વખતે ભૂલને કારણ રસ્તા પર પડી ગઈ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બ્રિજ પરથી જે ઉત્તરવહીઓ મળી આવી છે તેમાંથી મોટાભાગની ઉત્તરવાહીઓ ફાટી ગઈ છે. કારણ કે રસ્તા પર પડ્યા બાદ તેના પરથી અનેક વાહનો પસાર થયા હતા.આ ઉપરાંત પવનને કારણે ઉત્તરવહીઓ આમતેમ ઉડતી જોવા મળી હતી. અનેક ઉત્તરવહીઓના પાના ફાટી ગયા હતા તેમજ બ્રિજ પર આમતેમ ઉડતા જોવા મળ્યા હતા.
શું કરવું તે માટે ગાંધીનગરથી શિક્ષણ સચિવની ટીમ રવાના: રાજકોટ DEO
આ અંગે રાજકોટ DEO આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, આ મૂલ્યાંકન માટે જતી ઉત્તરવહીઓ છે, રાજકોટ છે જ એવું નથી. મારી પાસે હાલ 25થી 30 ઉત્તરવહીઓ જ આવી છે. આગામી સમયમાં શું કરવું તે માટે ગાંધીનગરથી શિક્ષણ સચિવની ટીમ રવાના થઇ ગઇ છે. તેમા માર્ગદર્શન હેઠળ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. હાલ તપાસ ચાલુ છે.આ અકસ્માતે બનેલી ઘટના છે અને ઉત્તરવહીઓ બસની અંદરથી બારી ખુલી જવાના પડી ગઇ હશે. આ ઉત્તરવહીઓ અમે કબ્જે કરી છે. હું આ હાઇબોન્ડ કંપનીના ડ્રાઇવરનો આભાર માનુ છું કે તેણે ઉત્તરવહીઓ કબ્જે કરી અમને સોંપી છે. આ ઉત્તરવહીઓ હું ગુજરાત માધ્યમિક બોર્ડને જમા કરાવું છું. ગુજરાત માધ્યમિક બોર્ડ આ અંગે નિર્ણય કરશે. જે કોઇ વ્યક્તિ જવાબદાર હશે તેની વિરૂદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.
દોષીતો સામે કાર્યવાહી કરાશેઃ શિક્ષણમંત્રી
ગોંડલના વીરપુર ઓવરબ્રીજ પાસેથી ધો.10ની ગુજરાતી ભાષાની ઉત્તરવહીઓ મળવાને લઇને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ અંગે તેમણે જણાવ્યું છે કે ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવશે અને જે દોષીતો છે તેમના વિરૂદ્ધ કડક પગલા ભરવામાં આવશે. આમ બોર્ડ ની ગંભીર બેદરકારી બહાર આવતા ભારે ચકચાર મચી ગઇ છે અને વિદ્યાર્થીઓ ના ભાવિ સામે સવાલો ઉઠ્યા છે.
