સંસદના શિયાળા સત્રના પહેલા દિવસે વિપક્ષે લોકસભા અને રાજ્યસભામાં કૃષિ કાયદાઓના બિલને પરત લેતી વખતે તેના ઉપર ચર્ચાની માગણીને લઈ જોરદાર હંગામો મચાવ્યો હતો. આ હંગામા વચ્ચે કોઈ પણ પ્રકારની ચર્ચા વગર બંને સદનોમાં કૃષિ કાયદાઓની વાપસીનું બિલ પાસ કરી દેવામાં આવ્યું હતુ. બિલ પાસ થયા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ખેડૂતો-મજૂરોની સફળતા છે, આ દેશની સફળતા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, જે રીતે આ કાયદાઓ રદ્દ કરવામાં આવ્યા, સંસદમાં ચર્ચા ન થવા દીધી કેમ કે, સરકાર ચર્ચા કરવાથી ડરે છે. આ બધી બાબતો પૂરવાર કરે છે કે, તેમણે ખોટું કામ કર્યું. જે ખેડૂતો શહીદ થયા તેમના વિશે ચર્ચા થવાની હતી. કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવાની હતી, લખીમપુર ખેરી અંગે પણ ડિસ્કશન કરવાનું હતું.
સરકાર મૂંઝવણમાં
રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર મૂંઝવણમાં છે. સરકાર વિચારે છે કે, ખેડૂતો, મજૂરો અને ગરીબ લોકોને દબાવી શકાશે. રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, કૃષિ કાયદાઓ ખેડૂતો પરના આક્રમણ જેવા હતા. ગાંધીએ કહ્યું કે, ખેડૂતોની મુશ્કેલીઓની યાદી લાંબી છે જેમાં MSP અને દેવામાફીનો પણ સમાવેશ થાય છે.
રાહુલ ગાંધીને એવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, જ્યારે કૃષિ કાયદાની વાપસી માટે બિલ લઈ આવ્યા, વડાપ્રધાને માફી માગી લીધી તો ચર્ચા કરવાની જરૂરત શું છે. ત્યારે જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તો પછી સંસદની જરૂરત પણ શું છે.
વડાપ્રધાને કહ્યું અને સૌએ માની લીધું. વડાપ્રધાન મોદીએ જે કહેવું છે તે કહે, જે કાયદા બનાવવા છે તે બનાવે. જો કશું ખોટું નથી થયું તો વડાપ્રધાને માફી શા માટે માગી? રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે તેમણે ખેડૂતોનું અપમાન કર્યું છે. વડાપ્રધાને પોતાના નિવેદનમાં ગ્રુપ ઓફ ફાર્મર્સ એવું કહ્યું હતું. આ ગ્રુપ ઓફ ફાર્મર્સ નહીં પણ આખા દેશના ખેડૂત છે.