ઉત્તર પ્રદેશઃ ડોક્ટરોને ધરતી પરના ભગવાનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ ક્યારેક ડોક્ટરોનો અમાનવીય ચહેરો પણ જોવા મળતા અનેક કિસ્સાઓ બનતા રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો ઉત્ત પ્રદેશમાં બન્યો છે. જ્યાં એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટોરોએ સારવાર માટે દાખલ બાળકીના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે બાળકીને ઓપરેશન ટેબલ પરથી ચીરાયેલા પેટ પર ટાંકા લીધા વગર જ બહાર કાઢી મૂકી હતી. અને તેના કારણે બાળકીનું મોત નીપજ્યું હતું. આ અંગે તપાસના આદેસ આપવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના કરેલી વિસ્તારમાં રહેતા બ્રહ્મદીન મિશ્રાની ત્રણ વર્ષની દીકરીને પેટની બીમારી હતી. માતા-પિતા દીકરીને સારવાર માટે પ્રયાગરાજના ધૂમનગંજના રાવતપુરની એક મોટી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં થોડા દિવસ પછી બાળકીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
થોડા દિવસ પછી ફરીથી ઓપરેશન કરવું પડ્યું હતું. બાળકીના પિતાના જણાવ્યા પ્રમાણે ઓપેરશન માટે દોઢ લાખ રૂપિયા ખંખેર્યા બાદ પણ હૉસ્પિટલે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. બાળકીનો પરિવાર પૈસા ન ચૂકવી શક્યો તો હૉસ્પિટલે પરિવાર અને બાળકીને બહાર મોકલી દીધા હતા અને જણાવ્યું હતું કે બાળકીની સારવાર અહીં નહીં થઈ શકે.
જે બાદમાં પિતા બાળકીને લઈને બીજી હૉસ્પિટલ ગયા હતા. પરંતુ તમામ હૉસ્પિટલોએ બાળકીને દાખલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. દરેક હૉસ્પિટલ એવું કહીને બાળકીને દાખલ કરવાનો ઇન્કાર કરી દેતી હતી કે તેણીની હાલત ખૂબ નાજુક છે, તેણી કદાચ બચી નહીં શકે. આ તમામ મથામણ વચ્ચે બાળકીએ દમ તોડી દીધો હતો.
મૃતક બાળકીના પિતાનો આરોપ છે કે ડૉક્ટરોએ ઑપરેશન પછી બાળકીના પેટના ટાંકા લીધા ન હતી અને આવી જ હાલતમાં બાળકીને સોંપી દીધી હતી. આ કારણે બીજી હૉસ્પિટલોએ બાળકીને દાખલ કરવાનો ઇન્કાર કર્યો હતો. બાદમાં સારવાર વગર બાળકીએ દમ તોડી દીધો હતો.