રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની અયોધ્યમાં બેઠક ચાલી રહી છે. જેમાં મંદિરના શિલાન્યાસની તારીખની જાહેરાત થઈ શકે છે. એવી માહિતી મળી રહી છે કે મંદિરનું નિર્માણ 29 જુલાઈ અથવા 5 ઓગસ્ટથી શરૂ થઈ શકે છે.વડાપ્રધાનને બોલાવવા માટે બે તારીખ જણાવાઈ છે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અયોધ્યામાં સંભાવિત કાર્યક્રમ અંગે પણ વિચાર થઈ શકે છે. ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસ બેઠક વડાપ્રધાનને અયોધ્યા આવવાનું આમંત્રણ પત્ર મોકલી ચુક્યા છે. બેઠકમાં સામેલ થવા માટે ટ્રસ્ટના સભ્ય પણ અયોધ્યા પહોંચી ગયા છે. મણિરામ છાવણી મઠના મહંત કમલ નયન દાસે કહ્યું કે, મંદિર નિર્માણ ઝડપથી શરૂ થશે.
સંતોની માંગણી છે કે વડાપ્રધાન ઝડપથી આવીને નિર્માણ શરૂ કરાવે. તે પહેલા જ આવવાના હતા પણ કોરોના સંકટના કારણે આ કાર્યક્રમ ટળ્યો હતો. હવે પીએમ મોદી 3 અથવા 5 ઓગસ્ટે અહીંયા આવી શકે છે. જો કે, અંતિમ તારીખ નક્કી થવાની બાકી છે. રામલલા મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું કે, ટ્રસ્ટની બેઠકમાં પીએમનો કાર્યક્રમ નક્કી કરવાનો છે, જેનાથી મંદિરનું નિર્માણ ઝડપથી શરૂ થી શકે. બીજી બાજુ બાબરી મસ્જિદના પક્ષકાર રહી ચુકેલા ઈકબાલ અંસારીએ કહ્યું કે, હું વડાપ્રધાનનું અયોધ્યામાં સ્વાગત કરવા માંગું છું. મંદિર નિર્માણ અંગે જે સંત સમાજ ઈચ્છે છે, એ હું પણ ઈચ્છું છું. મોદી મંદિર નિર્માણનો શુભારંભ કરે. અંસારીના જણાવ્યા પ્રમાણે, સુપ્રીમ કોર્ટના આદેશ પર મસ્જિદ માટે જે 5 એકર ભૂમિ મુસ્લિમ સમાજને આપવામાં આવી છે, તેની પર એક હોસ્પિટલ અને એક શાળાનું નિર્માણ કરવામાં આવે.