પંજાબઃ દેશમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે. જેમાં હજારો લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે આવી જ અકસ્માતની ઘટના લુધિયાણા બની છે. જ્યાં હિમાચલ પ્રદેશમાં માતા ચિંતાપૂર્ણીના દર્શન કરીને પરત પંજાબ આવી રહ્યા હતા ત્યારે ફૂલ સ્પીડ કાર ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં બે ડોક્ટર સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે એક યુવતી ગંભીર રીતે ગાયલ થતાં સારવાર અર્થે મોકલી આપી હતી. મૃતક એકબીજાના સગા-વહાલા હતા. બીજી તરફ દુર્ઘટના બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. પોલીસે ટ્રક ચાલકની વિરુદ્ધ કેસ નોંધી તેની શોધખોળ શરૂ કરી દીધી છે.
મૃતકોની ઓળખ ડૉ. રમેશ, ડૉ. સંજય સિંગલા અને કમલદીપ જિંદલ તરીકે થઈ છે. તેઓ કાલાંવાલીના નિવાસી છે. યુવતીની ઓળખ પ્રિયા તરીકે થઈ છે જે મૃતક ડૉ. સંજય સિંગલાની પત્ની છે. ચારેય કાર સવર ચિંતાપૂર્ણી (હિમાચલ પ્રદેશ)થી હરિયાણાના કાલાંવાલી પરત ફરી રહ્યા હતા.
આ દુર્ઘટના અંગે વધુ જાણકારી આપતા પેટ્રોલ પંપ ખાતે કામ કરનારા અને પ્રત્યક્ષદર્શી મોનૂએ જણાવ્યું કે, સવારે 7:30 વાગ્યાની આસપાસ લુધિયાણા તરફથી ટ્રક આવી રહી હતી અને તે ડીઝલ પૂરાવવા માટે પેટ્રોલ પંપ તરફ વળી. એટલામાં પાછળથી ખૂબ જ સ્પીડમાં આવી રહેલી કાર ટ્રકની પાછળ ધડાકાભેર ટકરાઈ ગઈ જેમાં 2 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા અને એક વ્યક્તિનું હૉસ્પિટલમાં મોત થયું. અકસ્માતમાં ઘાયલ યુવતીને પહેલા બરનાલા હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.
પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ગુરતાર સિંહે જણાવ્યું કે ટ્રક તથા કાર બંને લુધિયાણા તરફથી આવી રહ્યા હતા. કાર સવાર માતા ચિંતાપૂર્ણીના દર્શન કરીને પરત ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં ટ્રક ચાલક ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ તરફ વળ્યો ત્યારે જ પાછળથી કાર ટ્રક સાથે ટકરાઈ ગઈ.
આ ભયાનક દુર્ઘટનામાં 2 લોકોનાં મોત ઘટનાસ્થળે જ થયા હતા જ્યારે અન્ય 2 ઘાયલ લોકોને બરનાલા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં વધુ એકનું મોત થયું. યુવતીની સ્થિતિ નાજુક છે. પોલીસે મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.