પંજાબ વિધાનસભા ચૂંટણીને લઈને મોગા ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મેગા રેલી યોજી હતી. કેજરીવાલે આ રેલી દરમિયાન મોટી જાહેરાત કરતા કહ્યું કે, જો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દરેક મહિલાને એક-એક હજાર રૂપિયા આપવામાં આવશે.
રેલી દરમિયાન કેજરીવાલે કહ્યું કે, પરિવારમાં જેટલી પણ મહિલાઓ હશે તેમના બધાના ખાતામાં 1-1 હજાર રૂપિયા મોકલવામાં આવશે. આ સાથે જ કેજરીવાલે કોંગ્રેસના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની ઉપર પણ નિશાનાઓ સાંધ્યા હતા.
કેજરીવાલે કહ્યું, ‘હું જોઈ રહ્યો છું પંજાબમાં એક નકલી કેજરીવાલ ફરી રહ્યો છે. હું જે પણ વચનો આપીને જઉં છું, 2 દિવસ બાદ તે પણ એ જ વચનો આપે છે પરંતુ કોઈ કામ કરતા નથી. કહે છે કે, વીજળી ફ્રી થઈ ગઈ પરંતુ કોઈનું પણ એમ બન્યું નથી. આપની સરકાર બનશે તો ભવિષ્ય બની જશે. વીજળીનું બિલ જીરો (શૂન્ય) કરવાનું કોઈને આવડતું નથી. એ ફક્ત કેજરીવાલ જ કરી શકે છે માટે નકલી કેજરીવાલથી બચીને રહેજો.’
સ્વાસ્થ્ય સેવા મામલે નિશાન સાધતા કેજરીવાલે કહ્યું કે, એક મહોલ્લા ક્લીનિક બનાવવામાં 20 લાખ રૂપિયા લાગે છે અને માત્ર 10 જ દિવસનો સમય લાગે છે તો પછી નકલી કેજરીવાલે કેમ ન બનાવ્યા, આ કામ પણ ફક્ત અસલી કેજરીવાલ જ કરી શકે છે.
આ સિવાય કેજરીવાલે દીકરીઓના શિક્ષણને લઈ પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ઘણી દીકરીઓ કોલેજ નથી જઈ શકતી, પરંતુ હવે જઈ શકશે, દીકરીઓ હવે નવો સૂટ ખરીદી શકશે.
કેજરીવાલે મોગા ખાતે મોદી સરકાર પર પણ નિશાન સાધ્યું હતું અને કહ્યું કે, મોદીજીએ નોટબંધી કરીને બધાં પૈસા ડૂબાડી દીધા હતા પરંતુ આ યોજનાથી મહિલાઓને તાકાત મળશે.
પંજાબમાં અરવિંદ કેજરીવાલે કરી અનેક મોટી જાહેરાત, મહિલાઓને થશે અનેક ફાયદા