નવી દિલ્હી: દેશ અને દુનિયામાં કોરોનાની બીજી લહેર ફરી વળી છે ત્યારે ભારતને કોરોનાએ હચમચાવી નાંખ્યું છે. દેશમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઈ છે. શુક્રવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં અધધ 81,466 નવા કેસ નોંધાયા છે.
આ સાથે જ દેશમાં 469 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 50,356 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ દેશમાં એક્ટિવ દર્દી ઓની સંખ્યા 6,14,696 પાર પહોંચી છે.
દેશમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર 93.7 ટકા છે, જ્યારે મૃત્યુદર 1.3 ટકા છે. દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 1,23,03,131 કેસ નોંધાયા છે. જ્યારે 1,15,25,039 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
દેશમાં કોરોનાને કારણે અત્યારસુધી કુલ 1,63,396 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યારસુધી દેશમાં 6,87,89,138 લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે. દેશમાં અત્યારસુધી 24 કરોડથી વધારે કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2,410 કેસ નોંધાયા છે. જેની સામે 2,015 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 9 દર્દીનાં મોત થયા છે.
રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,528 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.35 ટકા છે. અત્યાર સુધીમાં 53,68,002 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અને 6,97,680 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.