Nitin Patel: શા માટે નીતિન પટેલે હાર્દિક પટેલને મંત્રી બનાવવાની તરફેણ કરી? પ્રાર્થના કરવાનું કહ્યું કે ટોણો માર્યો?
Nitin Patel ગુજરાતમાં વર્ષ 2025માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સિવાય તમામ શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાશે. રાજ્યમાં ઉત્તરાયણ બાદ નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકની પ્રક્રિયા વચ્ચે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાર્દિક પટેલને મંત્રી બનાવવા માટે સમર્થન કર્યું છે. કડીમાં આયોજિત પાટીદાર સ્નેહ મિલન સંમેલનમાં નીતિન પટેલે ભાજપમાંથી ધારાસભ્ય બનેલા હાર્દિક પટેલના વખાણ કર્યા હતા. સંબોધન દરમિયાન નીતિન પટેલે કહ્યું કે હાર્દિક પટેલ માટે ઉમિયા માતાને પ્રાર્થના કરવી જોઈએ જેથી તેઓ મંત્રી બને. ગુજરાતમાં પાટીદાર સમુદાય ઉમિયા માતાને પરિવારની દેવી માને છે. હવે પ્રશ્ન એ થાય છે કે નીતિન પટેલ જેવા જવાબદાર નેતાએ આમને આમ તો હાર્દિક પટેલને મંત્રી બનાવવાની વાત કરી ન હોય. નીતિન પટેલનું આની પાછળ ચોક્કસ કોઈ પોલિટીકલ લોજિક છે, એવું ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે.
વિરમગામને લઈ હાર્દિક કરી હતી જિલ્લા બનાવવાની વાત
Nitin Patel હાર્દિક પટેલે તાજેતરમાં જ એક સ્ટેટમેન્ટ દ્વારા વિમરગામને જિલ્લો બનાવવાની જાહેરાત કરી ભાજપના નેતાઓને ચોંકાવી દીધા હતા. ભૂપેન્દ્ર પટેલ સરકાર નવા નવ જિલ્લાની જાહરાત કરી ત્યાર પછી હાર્દિકનું નિવેનદન આવ્યું હતું અને એવો વિકાસ કરવાની વાત કર હતી કે કે કોઈએ અત્યાર સુધી વિકાસ કર્યો ન હોય.
નીતિન પટેલે દેત્રોજ છોડી મહેસાણાથી ચૂંટણી લડી
નીતિન પટેલે દેત્રોજથી વિધાનસભા ચૂંટણી લડી હતી. ત્યાર બાદ દેત્રોજ અનુસૂચિત જન જાતિની બેઠક થતાં નીતિન પટેલ બે વખત મહેસાણાથી ચૂંટણી લડ્યા અને જીત્યા. જીત્યા બાદ મોદી સરકારમાં મંત્રી અને ત્યાર બાદ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. હવે કડી અને દેત્રોજ બિલ્કુલ અરસ-પરસના ગામો છે.
ટોણો હતો કે ખરેખર પ્રાર્થના કરવાની વિનંતી?
રાજ્યની રાજનીતિમાં લાંબી ઈનિંગ રમનાર પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે હાર્દિકને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હોય તેવું પહેલીવાર બન્યું છે. કાર્યક્રમમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે વિરમગામને એવું બનાવશે કે તે અન્યોને જબરદસ્ત સ્પર્ધા આપશે. આમ તો દેત્રોજ-કડી પાસે નીતિન પટેલ પોતાનું ઘર છે. તેમણે દેત્રોજ-કડી તાલુકામાંથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. અગાઉ હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે વીરગામ જિલ્લો બનશે. હાર્દિક પટેલ 2022માં અમદાવાદની વિરમગામ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા.નીતિન પટેલનો કહેવાનો ભાવાર્થ એવો માની શકાય કે પહેલાં મંત્રી બનો ત્યાર પછી જિલ્લો બનાવવાની અને વિકાસની વાતો કરજો. હું મંત્રી અને નાયબ મુખ્યમંત્રી હતો તો કડી માંડ માંડ વિકાસ કરી શક્યો છું. એટલે પહેલું પગથિયું ધારાસભ્ય તરીકેનું છે ત્યાર બાદ મંત્રી અને અન્ય પદોની પ્રાપ્તિ થાય છે. જાણકારો નીતિન પટેલની પ્રાર્થના કરવાની વિનંતીને ટોણા તરીકે જોઈ રહ્યા છે.
નીતિન પટેલે શું કહ્યું?
નીતિન પટેલે કાર્યક્રમમાં કહ્યું કે હું વધારે વાત નહીં કરું પણ હાર્દિકે મંત્રી બને તે માટે ઉમિયા માતાને પ્રાર્થના કરવી જોઈએ. નીતિન પટેલે કહ્યું કે મંત્રી એ આગળ વધવાનું પ્રથમ પગથિયું છે. તેઓ સીએમ બનવા અંગેના નિવેદનનો ઉલ્લેખ કરી રહ્યા હતા. જેનો કાર્યક્રમના સંચાલન દ્વારા ઉલ્લેખ કરાયો હતો. નીતિન પટેલ અહીંથી અટક્યા નથી. તેમણે કહ્યું કે જ્યારથી હાર્દિક પટેલ ભાજપના ધારાસભ્ય બન્યી છે, ત્યારથી એકવાર પણ વિવાદમાં આવ્યા નથી. ગુજરાતમાં હાર્દિક પટેલના નેતૃત્વમાં થયેલા પાટીદાર આંદોલનને કારણે 2017ની ચૂંટણીમાં ભાજપ 99 બેઠક જ મેળવી શક્યો હતો. પણ 2022ની ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 બેઠકો જીતી હતી.
શું થશે કેબિનેટ વિસ્તરણ?
ગુજરાતના રાજકારણમાં લાંબી ઈનિંગ રમી ચૂકેલા નીતિન પટેલના નિવેદન બાદ રાજ્યમાં કેબિનેટ વિસ્તરણ નજીક છે કે કેમ તેની અટકળો થઈ રહી છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ચાર ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. તમામ પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ફરી જીત્યા. તેમની વચ્ચે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાનો પણ સમાવેશ થાય તેવી ચર્ચા છે. ઘણા સમયથી રાજ્ય મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો ચાલી રહી છે. રાજ્યમાં ફરી એકવાર પાટીદારનો મુદ્દો જોર પકડી રહ્યો છે તેવા સમયે નીતિન પટેલે હાર્દિકને મંત્રી બનવા પ્રાર્થના કરવાની વાત કરી છે.