નવી દિલ્હીઃ દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાના પરીણામો જાહેર થવાના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ( PM Narendra Modi, ) કોરોનાની સ્થિતિ સંદર્ભે ભાવી પગલાઓ લેવા માટે, નિષ્ણાંતોની બેઠક બોલાવી છે. ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના વાયરસની બીજી લહેર તબાહી મચાવી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસની સંખ્યા ચાર લાખની આસપાસ નોંધાય છે.
આવી સ્થિતિ નિવારવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, ઓક્સિજન અને દવાઓના મુદ્દે નિષ્ણાંતો સાથે બેઠક કરી રહ્યાં છે. આ બેઠકમાં કોરોનાને લગતી આરોગ્ય વિષયક ચર્ચા વિચારણા કરાશે જેના આધારે કેન્દ્ર સરકાર વધુ કોઈ નવા પગલાઓ લઈ શકે છે. નિષ્ણાતો સાથેની બેઠકમાં દવા- ઈન્જેકશન ઉપરાંત ઓક્સિજન, તેમજ મેડીકલ સાધનોની ઉપલબ્ધતા અંગે નિષ્ણાતો સાથે પીએમએસની બેઠક મળશે.
વડા પ્રધાન મોદીએ એપ્રિલ મહિનામાં પણ, દેશમાં ઓક્સિજનના અભાવ અંગે ઉદ્યોગકારો, નિષ્ણાતો સહીત અનેક વિશેષજ્ઞો સાથે બેઠકો યોજી હતી. તેઓએ 16 એપ્રિલ અને 23 એપ્રિલના રોજ મીટિંગો પણ કરી હતી. વડા પ્રધાને દરેક ઓક્સિજન પ્લાન્ટની ક્ષમતા અનુસાર ઓક્સિજનનું ઉત્પાદન વધારવાનું સૂચન કર્યું હતું.
સમીક્ષા બેઠક દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓને દેશભરમાં ઓક્સિજન વહન કરતા ટેન્કરોની હિલચાલ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આવા વાહનોને અગ્રતા આપવા પણ સુચના આપી હતી.
ગયા મહિનાની શરૂઆતથી, દેશમાં કોરોના કેસ ઝડપથી વધવા માંડ્યા, જેના કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત મોટાભાગના રાજ્યોમાં ઓક્સિજનની અછત જોવા મળી હતી. ઓક્સિજનના અભાવે દર્દીઓનાં મોત નીપજ્યાં હોવાના સમાચાર સામે આવ્યા હતા.
દેશની સુપ્રિમ કોર્ટ સહીત રાજ્યોની હાઈકોર્ટોએ પણ ઓક્સિજન અંગે ચિંતા કરતા રાજ્ય અને કેન્દ્ર સરકારને કેટવાલ નિર્દેશો આપ્યા છે. ઓક્સિજનની તંગી દૂર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે જાણીતા ઔદ્યોગિક એકમો અને સેવાભાવી સંસ્થાઓ પણ કામગીરી કરી રહી છે.