જોધપુરઃ આસારામ છેલ્લા કેટલાય વર્ષોથી યુવતી સાથે શારીરિક શોષમ કરવાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. તેઓ રાજસ્થાનના જોધપુરની જેલમાં સજા કાપી રહ્યા છે. જોધપુર સેન્ટ્રલ જેલમાં થોડા દિવસ પહેલા આસારામ કોરોના સંક્રમિત માલુમ પડ્યા હતા. જ્યાં અચાનક તબિયત બગડતાં આસારામને એમજી હોસ્પિટલમાં લાવ્યા હતા. જોકે, શુક્રવારે મોડી રાત્રે આસારામનની તબિયત વધારે બગડતા જોધપુરની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે બે-ત્રણ દિવસ પહેલા સેન્ટ્રલ જેલમાં આસારામની તબિયત અચાનક ખરાબ થઈ હતી. તપાસ બાદ તેઓ કોરોના સંક્રમિત માલુમ પડ્યા હતા. ડૉક્ટરોની સલાહ પ્રમાણે તેમને તાત્કાલિક મહાત્મા ગાંધી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે આસારામે શુક્રવારે દિવસે જ તેમને એમ્સ ખાતે ખસેડવામાં આવે તેવી માંગણી કરી હતી. જોકે, ડૉક્ટરોએ માંગણી સ્વીકારી ન હતી. આખરે મોડી રાત્રે સુપ્રીમ કોર્ટ અને જેલ અધીક્ષકના આદેશ બાદ તેમને જોધપુરની એમ્સ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે મહાત્મા ગાંધી હૉસ્પિટલમાં દાખલ થયાના શરૂઆતમાં તેઓ સારવાર કરાવવા માટે તૈયાર ન હતા. હૉસ્પિટલમાં તેમનો સિટી સ્કેન રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં સીટી સ્કોર 8 આવ્યો હતો. જ્યારે ઑક્સિજન લેવલ 93 હતું. ડૉક્ટરની સલાહ બાદ RT-PCR ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો, જેમાં આસારામ કોરોના સંક્રમિત માલુમ પડ્યા હતા. જે બાદમાં તેઓ સારવાર માટે તૈયાર થઈ ગયા હતા.
શુક્રવારે દિવસે મહાત્મા ગાંધી હૉસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું હતું કે, આસારામની સારવાર અહીં જ કરવામાં આવશે, જે બાદમાં તેમને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવશે. જોકે, મોડી રાત્રે વધારે સારી સારવાર માટે તેમને એમ્સ ખાતે ખસેડવામાં આવ્યા છે.
દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ઓછો જ નથી થઈ રહ્યો. દરરોજ કોરોના વાયરસના નવા દર્દીઓની સંખ્યા ચાર લાખને પાર થઈ રહી છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો દેશમાં કોરોના વાયરસના નવા 4 લાખ 1 હજાર 228 નવા દર્દી નોંધાયા છે. જ્યારે પ્રથમ વખત દેશમાં મોતનો આંકડો ચાર હજારને પાર થઈ ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 4,191લોકોનાં મોત થયા છે. આ એક રેકોર્ડ છે.