નવી દિલ્હીઃ કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં આતંક મચાવ્યો છે. બીજી લહેરમાં લોકો ઝડપથી સંક્રમિત થઈ રહ્યા છે અને ટપોટપ મરી પણ રહ્યા છે. આથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે શુક્રવારે દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો શુક્રવાર 7 મેના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 4,14,188 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.
આ ઉપરાંત કોવિડ-19ના કારણે 3,915 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,14,91,598 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 16,49,73,058 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 76 લાખ 12 હજાર 351 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 3,31,507 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 36,45,164 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 2,34,083 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 6 મે સુધીમાં ભારતમાં કુલ 29,86,01,699 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ગુરુવારના 24 કલાકમાં 18,26,490 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.