ગાંધીનગર — ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે રાજ્યમાં પ્રત્યેક નાગરિકને કોરોના વાયરસની સારવારનો લાભ પુરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સારવાર તમામને વિનામૂલ્યે આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિશ્વવ્યાપી મહામારી કોવિડ-19ની સારવાર માટે રાજ્યમાં મહાનગરોમાં ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ અને જિલ્લામથકોએ 100 બેડની કોવિડ હોસ્પિટલ રાજ્ય સરકારે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કાર્યરત કરી છે.
રાજ્યના 26 જિલ્લાઓમાં કુલ 3100 બેડની ક્ષમતા ધરાવતી 31 જેટલી ખાનગી હોસ્પિટલો કોવિડ-19 અંતર્ગત ડેજીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે સેવાઓ આપી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વૈશ્વિક મહામારીના કપરા કાળમાં તમામ પ્રજાજનોને કોવિડની સારવારનો લાભ આવી ડેજીગ્નેટેડ હોસ્પિટલોમાં વિનામૂલ્યે મળે તે માટે નિર્ણય કર્યો છે.
જે-તે જિલ્લાના કલેકટર જો વધુ આવી ડેજીગ્નેટેડ ખાનગી હોસ્પિટલ તેમના જિલ્લામાં માન્ય કરે તો તે હોસ્પિટલોમાં પણ વિનામૂલ્યે સારવાર અપાશે. મુખ્યમંત્રીના આ નિર્ણય મુજબ આવી કોવિડ કોરોના ડેજીગ્નેટેડ ખાનગી હોસ્પિટલમાં ઇન્ડોર અને આઉટડોર તમામ દર્દીઓને સારવાર અને દવાઓ વિનામૂલ્યે અપાશે.
કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લઇને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થાય તે પછી પણ પાંચ દિવસ સુધી તેમને ચા, નાસ્તો, બે ટાઇમ ભોજન અને દવાઓ વિનામૂલ્યે અપાશે. રાજ્ય સરકાર આવી કોવિડ હોસ્પિટલ માટે પી.પી.ઇ. કિટ, એન.૯પ માસ્ક, ટ્રિપલ લેયર માસ્ક અને હાઇડ્રોકક્ષી કલોરોકવીન ટેબ્લેટ પૂરા પાડશે.
જો આવી ડેજીગ્નેટેડ હોસ્પિટલના આરોગ્યકર્મીનું કોરોના સંક્રમિત થવાથી મૃત્યુ થાય તો રાજ્ય સરકારની જાહેરાત મુજબ 25 લાખની સહાય તેવા આરોગ્યકર્મીને અપાશે. રાજ્યની 31 ડેજીગ્નેટેડ કોવિડ હોસ્પિટલમાં થનારો અંદાજે માસિક આઠ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર આપશે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.