પટનાઃ બિહારના પોલીસ તંત્ર અને સ્થાનિક તંત્રના વહિવટ માટે દેશમાં પંકાયેલું તો છે જ. જોકે, આ વાતને પુરવાર કરતી વધુ એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. ખાડે ઘટેલી સિસ્ટમના કારણે એક લાચાર બાપ પોતાના દીકરાની લાશને કોથળામાં ભરીને ત્રણ કિલોમીટર સુધી ચાલવા માટે મજબૂર થયો હતો.
આ દયનિય અને શરમજનક ઘટના ભાગલપુર જિલ્લાના ગોપાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તીનટંગા ગામની છે. અહીં નદી પાર કરતી વખતે નીરુ યાદવનો 13 વર્ષીય પુત્ર હરિઓમ યાદવ બોટ પરથી નીચે પડી ગયો અને ગુમ થયો હતો. આ મામલે ગોપાલપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો. પરંતુ પિતાને તપાસ દરમિયાન ખબર પડી કે પુત્રની લાશ નજીકના કટિહાર જિલ્લાના કુર્સેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેરિયા નદીના કાંઠે છે. પિતા નીરુ યાદવ તાત્કાલિક ઘાટ પર પહોંચ્યા ત્યારે તેમને દીકરાનો મૃતદેહ સડેલી-ગળેલી અને પ્રાણીઓ ફાડી ખાધેલી હાલતમાં મળ્યો. તેમ છતાંય પિતાએ તેમના પુત્રને કપડાં અને તેના શરીર પરના નિશાનના આધારે ઓળખી લીધો.
અહીંથી જ સિસ્ટમના ગેરવર્તનની શરૂઆત થઈ. ભાગલપુર જિલ્લાના ગોપાલપુર પોલીસ સ્ટેશન કે કટિહાર જિલ્લાની કુર્સેલા પોલીસે મૃતદેહ માટે કોઈ ગંભીરતા દર્શાવી હતી. આવી સ્થિતિમાં પિતાએ તેના ‘કાળજાના કટકા’નો મૃતદેહ કોથળામાં ભરીને 4 કિલોમીટર સુધી ચાલ્યા હતા. પરેશાન પિતાએ કહ્યું કે, કરું તો શું કરું…? ન તો પોલીસે કોઈ ગાડીની વ્યવસ્થા કરી અને ન કોઈ સહાનુભૂતિ દર્શાવી. હવે આ સિસ્ટમથી કેટલા સમય સુધી વિનંતી કરોત. તેથી મજબૂરીમાં બાળકના મૃતદેહને આ રીતે લઈ આવ્યા.
જોકે, કટિહાર સબ-ડિવિઝનલ પોલીસ અધિકારીઓ હવે આ મામલાની તપાસ કરી રહ્યા છે કે કયા પોલીસ સ્ટેશનથી અને ક્યા પોલીસકર્મીઓએ બેદરકારી દાખવી છે. પરંતુ હવે આનો કોઈ અર્થ નથી, કારણ કે, હવે આ પિતા કોઈ પણ સંજોગોમાં સિસ્ટમ પાસેથી મદદની કોઈ આશા રાખશે નહીં. અગાઉ પણ એવી અનેક ઘટનાઓ બની ચૂકી છે, જેમાં પોલીસની ગંભીર બેદરકારીઓ સામે આવી છે.