કાનપુરઃ મુંબઈના એક મોલમાં ત્રીજા માળે આવેલી કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં અનેક દર્દીઓના મોત થયા હતા. ત્યારે વધુએક આગનો બનાવ કાનપુરમાં બન્યો છે. અહીં કાર્ડિયોલોજી હોસ્પિટલના આઈસીયૂમાં રવિવારે સવારે આગથી હાહાકાર મચ્યો છે. હોસ્પિટલના પહેલા ફ્લોરના આઈસીયૂમાં આગ લાગ્યાની જાણકારી મળતાં જ દર્દીઓને બહાર લાવવાની કામગીરી શરૂ કરાઈ છે. સૂચના મળતાં જ ફાયરબ્રિગેડની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોચીને આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહી છે. હાલમાં લગભગ 50 લોકો હોસ્પિટલમાં ફસાયા હોવાની શંકા છે.
કાર્ડિયોલોજી હોસ્પિટલમાં બિલ્ડિંગમાં આગના કારણે દર્દીઓને બેડ સાથે જ બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં આગનું કારણ જાણી શકાયું નથી. કાર્ડિયોલોજીના ગ્રાઉન્ડ ફ્લોરમાં ઘુમાડો ભરાઈ જવાના કારણે પહેલા માળની સ્થિતિ જાણવામાં મુશ્કેલી આવી રહી છે.
સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફાયર સર્વિસના કર્મચારીઓ બારીના કાચ તોડીને જાણવાની કોશિશ કરી રહ્યા છે કે અંદર કોઈ ફસાયેલું તો નથી ને. મળતી માહિતી અનુસાર ગ્રાઉન્ડ ફ્લોરના દરેક દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે.
પહેલા માળના 9 દર્દીઓના ફસાયા હોવાની સૂચના મળી છે. તેમને આ માળે ટ્રીટમેન્ટ અપાઈ રહી હતી. બારીના કાચ તોડીને વેન્ટીલેશનની વ્યવસ્થા કરાઈ છે. ધુમાડો ઓછો થયા બાદ ગ્રાઉન્ડ ફ્લોર ફરીથી ચેક કરાશે. હાલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈના ફસાયા હોવાની સૂચના મળી રહી નથી.