યોગગુરુ બાબા રામદેવે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ દેશમાં જે અમારી જેમ લગ્ન ના કરે તેમનું વિશેષ સન્માન થવું જોઇએ અને આ સાથે જે લગ્ન કરે છે અને બેથી વધુ બાળકો પેદા કરે છે તેમનો મતાધિકાર છીનવી લેવો જોઇએ. સ્વામી રામદેવે રવિવારે હરિદ્ધારમાં આ નિવેદન આપ્યુ હતુ.
રામદેવે કહ્યું કે, આ રાજકીય અને રાષ્ટ્રીય મુદ્દો છે. પરંતુ ભારતીય પરંપરામાં જ્યારે જનસંખ્યા ઓછી હતી ત્યારે વધુ બાળકો પેદા કરવાની વાત કરવામાં આવી હતી. 10 બાળકો પેદા કરવા સુધીની વાત કરાઇ હતી. તેમણે કહ્યું કે, જેઓ સંપન્ન છે તેઓ જરૂર કરી લે પરંતુ એક-બે બાળકો અમને પણ આપી દેવા. રામદેવે કહ્યું કે, જ્યારે વસ્તી સવા સો કરોડ પહોંચી ગઇ છે. આપણે મત મારફતે રાજકીય નેતૃત્વની પસંદગી કરીએ છીએ પરંતુ એક વિવેકશીલ પુરુષ અથવા મહિલા હોય, કોઇ જાગૃત આત્મા હોય તે હજારો, લાખો, કરોડો પર ભારે પડે છે.
સ્વામી રામદેવ પોતે અપરણિત છે છેલ્લા દિવસોમાં તેમણે કહ્યું હતું કે તેમની સફળતા અને આનંદનું કારણ તેઓ અપરણિત છે તે છે. ખુશ રહેવા માટે પત્ની અને બાળકોની જરૂર નથી હોતી. તમે તેના વગર પણ ખુશ રહી શકો છો, જે રીતે હું પણ હંમેશા ખુશ રહું છું.