Valsad: વલસાડમાં નેશનલ પ્રેસ ડે નિમિત્તે પ્રેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
Valsad: ‘‘ચેન્જિંગ નેચર ઓફ પ્રેસ’’ વિષય પર આયોજિત સેમિનારમાં વકતા તરીકે સેસિલ ક્રિસ્ટી અને મનોજ ગાંધીએ વકતવ્ય આપ્યું
Valsad: ગુજરાત પ્રેસ અકદામી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, વલસાડના સંયુક્ત ઉપક્રમે નેશનલ પ્રેસ ડેની ઉજવણી નિમિત્તે પ્રેસ સેમિનારનું આયોજન વલસાડના તિથલ રોડ પર સ્થિત ઈચ્છાબા અનાવિલ સમાજની વાડી કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે સહિતના મહાનુભાવોએ દીપ પ્રગટાવી સેમિનારને ખુલ્લો મુક્યો હતો.
આ પ્રેસ સેમિનારના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેએ નેશનલ પ્રેસ ડેનું મહત્વ સમજાવી જણાવ્યું કે, વિકટ પરિસ્થિતિમાં પોતાના જીવને પણ જોખમમાં મુકી સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય મીડિયા કર્મીઓ કરી રહ્યા છે તેને બિરદાવુ છું.
વહીવટી તંત્ર દ્વારા કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તે અંગે પણ પત્રકારો ધ્યાન દોરે છે
જેથી વધુ સારી કામગીરી થઈ શકે. ધરમપુરમાં ઉજવાયેલા જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીનું રિપોર્ટિંગ ખૂબ જ સરસ રીતે થયુ હોવા બદલ પત્રકાર મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં ૪૭૦ માંથી ૩૩૩ ગામ એવા છે કે જેમાં સંપૂર્ણ આદિવાસી સમાજ વસે છે. આગામી પાંચ વર્ષ સુધી આ ગામમાં વસતા અંદાજે ૧૧ લાખ આદિવાસી સમાજના લોકોના કલ્યાણ માટે સરકાર દ્વારા પીએમ જનમન હેઠળ વિવિધ યોજનાના લાભો આપી તેઓને સંપૂર્ણપણે વિકાસ કરાશે. ઉમરગામ, ધરમપુર અને કપરાડામાં વિકાસ રથ દ્વારા લોકોને યોજનાકીય લાભો પણ અપાશે. વધુમાં કલેકટરશ્રીએ હાલમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો બહોળો પ્રચાર પ્રસાર કરવા સૌ મીડિયા કર્મીઓને અપીલ કરી હતી.
આ પ્રસંગે સિનિયર વક્તા તરીકે ઉપસ્થિત રહેલા માહિતી ખાતાના
નિવૃત્ત સંયુક્ત માહિતી નિયામકશ્રી સેસિલ ક્રિસ્ટીએ પરંપરાગત મીડિયાથી લઈને વર્તમાન મીડિયા સુધીમાં આવેલા બદલાવો ઉપર પ્રકાશ પાડી જણાવ્યું કે, ઈન્ટરનેટના આગમન બાદ મીડિયાનું સ્વરૂપ પણ બદલાયુ છે.
ન્યૂઝ વહેલી તકે ઝડપથી પ્રસારિત કરવાની સ્પર્ધા પણ વધી ગઈ છે. નવા ઊભરતા પત્રકારોને દિશાનિર્દેશ આપતા શ્રી ક્રિસ્ટીએ જણાવ્યું કે, પત્રકારો લોકમતના ઘડવૈયા છે. પત્રકારોનું વિઝન હંમેશા ક્લિયર હોવુ જોઈએ. આ સાથે જ ઘણા વર્ષોથી મીડિયા સાથે જોડાયેલા પત્રકારોનું માર્ગદર્શન કરતા તેઓએ જણાવ્યું કે, વર્તમાન સમય આર્ટિફિશીયલ ઈન્ટેલીજન્સનો છે, જેથી પત્રકારોએ સતત અપડેટ પણ રહેવુ જરૂરી છે.
પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ ૨૦૨૪ના નેશનલ પ્રેસ ડે નિમિત્તે જાહેર કરાયેલી ‘‘ચેન્જિંગ નેચર ઓફ પ્રેસ’’ થીમ વિષય પર સિનિયર વક્તા અને ગુજરાત ગાર્ડિયન દૈનિકના તંત્રીશ્રી મનોજભાઈ મિસ્ત્રીએ જણાવ્યું કે, પત્રકારની ભૂમિકા માઈલસ્ટોન જેવી હોય છે. પત્રકારોએ પોતાના મૂલ્યો ભૂલવા ન જોઈએ. ગમે તેટલા બદલાવો આવે પણ વિશ્વસનીયતા હોવી ખૂબ જ જરૂરી છે. પત્રકારત્વને ચોથી જાગીર ગણવામાં આવે છે, દેશના ચારેય આધારસ્તંભ મજબૂત હોય તો લોકતંત્રને કોઈ આંચ આવે નહી. શ્રી મિસ્ત્રીએ પત્રકારોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે, આપણે જે વ્યવસાય અપનાવ્યો છે તેને પ્રમાણિકતા સાથે પરિપૂર્ણ કરીએ. આવા સેમિનાર પત્રકારોમાં વાતાવરણ શુધ્ધિ માટે સકારાત્મક પૂરવાર થાય છે.
પ્રેસ સેમિનારમાં પત્રકારોએ પણ પોતાના મંતવ્યો જણાવ્યા હતા.
નેશનલ પ્રેસ ડે ની ઉજવણી વેળાના કાર્યક્રમમાં સુરત પ્રાદેશિક માહિતી કચેરીના સંયુક્ત માહિતી નિયામકશ્રી અમિત ગઢવીએ સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની પૂર્વભૂમિકા આપી કાર્યક્રમનો ઉદ્દેશ જણાવ્યો હતો. જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક સુશ્રી ભાવના વસાવાએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ પ્રતિકભાઈ કોટકે કર્યુ હતું.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, સુરત પ્રાદેશિક કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી ઉમેશ બાવીસા, જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના મિત્રો અને જિલ્લા માહિતી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.