Politics: બનાસકાંઠા બેઠક જીતી ગેનીબેન ઠાકોરે ભાજપનું સતત ત્રીજીવાર કવીનસ્વિપનું સપનું રોળી નાખ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસને 10 વર્ષ બાદ માત્ર એક બેઠક મળી એ બનાસકાંઠા બેઠક છે. અહીં જીત મેળવ્યાના એક દિવસ બાદ જ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના સંગઠનને લઈ સૂચક ટકોર કરતાં કહ્યું હતું કે ઉમેદવાર ચુંટણી લડતો હોય, તો એના પોતાના દમ પર લડવી પડે. પોતાના સમાજની તાકાત પર લડવી પડે, જો કે એના બદલે પાર્ટી ચુંટણી લડતી થશે એ દિવસે કોંગ્રેસ મજબૂતાઈથી ચુંટણી મેદાનમાં થઈ જન આશીર્વાદ મેળવશે.
બનાસકાંઠા બેઠક પર જીત મળ્યાના ગણતરીના કલાકોમાં જ ગેનીબેન દ્વારા કોંગ્રેસ પાર્ટીને ટકોર કરવામાં આવી હતી.
પાર્ટીના સંગઠન અંગે વાત કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો છે કે સંગઠનની કામગીરી ઝીરો ગ્રાઉન્ડ પર ભાજપની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ઘણો બધો અભાવ છે. એના કારણે જે ઉમેદવારને ચુંટણી તેના દમ પર લડવી પડે, પોતાની સમાજની તાકાતથી લડવું પડે. એના બદલે પેરેલલ પાર્ટી ચુંટણી લડતી થશે એ દિવસે કોંગ્રેસ મજબૂતાઈથી ચુંટણી મેદાનમાં જઈ જન આશીર્વાદ મેળવશે. બનાસકાંઠાએ તેની શરૂઆત કરી દીધી છે.
ગેનીબેને વધુમાં જણાવ્યું હતું કે જે લોકો પક્ષ વિરુદ્ધ કામ કરતા હોય એ લોકોને પાર્ટીના નિયમ પ્રમાણે પક્ષમાં સ્થાન ન હોવું જોઈએ. જે માણસ ખોટું કરે છે તેને કોઈ નાનીમોટી સજા કરો. જો પક્ષમાંથી દુર નહીં કરો તો બીજા તેનાથી પ્રેરિત થતા હોય છે, જેના કારણે પાર્ટીને નુકસાન થતું હોય છે. હું કોઈને સલાહ આપવા માટે સક્ષમ નથી, સલાહ આપવાનો મારો અધિકાર પણ નથી.ગેનીબેન ઠાકોર હાલ વાવનાં ધારાસભ્ય છે. કોંગ્રેસે 2024ના લોકસભા ચૂંટણીના જંગમાં તેમને મેદાને ઉતાર્યા હતા. તેમની સામે ભાજપે રેખાબેન ચૌધરીને ટિકીટ આપી હતી.
કોંગ્રેસને ગુજરાતમાં કેટલીક બેઠક મળવાનો અંદાજ હતો.
એમાંની એક બનાસકાંઠા બેઠક પણ હતી, જે ગેનીબેન ઠાકોરે જીતી બતાવી છે.બનાસકાંઠામાં દરેક મુદા પર બેબાક બોલતા ગેનીબેને એકલા હાથે આખી ચુંટણી લડી હતી. ગેનીબેનને એક લાભ એ થયો કે કોંગ્રેસે તેમનું નામ પહેલું જાહેર કરી દેતા તેમણે એકપણ ચુંટણી કાર્યાલય ખોલ્યા વગર આક્રમક પ્રચાર કર્યો હતો અને હર હંમેશ અલગ અલગ વિષયો મુકીને ચર્ચામાં રહ્યાં હતાં.બનાસ ડેરી બનાસ, બેંક સામે તેઓ હંમેશા નિશાન સાધતા રહ્યા.
ભાજપના ઉમેદવારના હું ભણેલીગણેલી શિક્ષિત મહિલા છું એવા નિવેદનના સામે ગેનીબેને બનાસની બેનના મામેરા ભરવાનો ભાવનાત્મક માહોલ ઉભો કર્યો અને ગામેગામ મામેરુ ભરવા ટહેલ કરીને કેટલાંય ગામમાંથી હજારો રૂપિયા દાન પેટે મળવા લાગ્યા હતા.