ગાંધીનગર. કોરોના પેશન્ટને સાજા કરવા માટે પ્લાઝમા થેરાપીનો અમલ શરૂ કરવાથી ઇચ્છીત પરિણામ સામે આવ્યા છે. અમેરિકા, ચીન અને યુકેમાં પ્લાઝમા થેરાપીના અમલ પછી ભારતમાં કેરાલા અને મહારાષ્ટ્ર સરકારે શરૂઆત કરી હતી પરંતુ ગુજરાતે મોડે મોડે શરૂઆત કરી છે.
અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોરોના પોઝિટીવની સારવાર લઇ રહેલા બે દર્દીઓને પ્લાઝમા આપ્યા પછી તેમને ઓક્સિજનની જરૂરિયાત ઘટી ગઇ છે. સરકારની આ પહેલને દર્દીનો પ્રોત્સાહક પ્રતિભાવ મળ્યો છે. ગુજરાતે કોરોના કેસના દરદીઓની સારવારમાં પ્લાઝમાના ઉપયોગની શરૂઆત રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ પહેલ કરી છે.
અમદાવાદના બે દર્દીઓને કન્વલ્સન્ટ પ્લાઝમા આપ્યા પછી બે દિવસે તેમને ઓક્સિજનની જરૂરિયાત ઓછી પડી છે. અન્ય કન્ટ્રોલ ગ્રુપ કરતાં ઓછી થઇ છે. રાજ્યના આરોગ્ય અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ કહ્યું હતું કે કોરોના પોઝિટીવ દર્દી સાજો થયાં પછી તેના શરીરમાંથી પ્લાઝમા લઇને બે દર્દીઓ પર પ્રયોગ કરવામાં આવ્યો હતો.ગુજરાત સરકારે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા સમક્ષ આ અંગેની મંજૂરી આપવા રજૂઆત કરી હતી.
ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ 17મી એપ્રિલની રાત્રે આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી અને સાથે સાથે ગુજરાતને મંજૂરી પણ આપી હતી.ગુજરાતે એક પણ દિવસનો પણ વિલંબ કર્યા વિના 18મી એપ્રિલે કોરોના પોઝિટિવમાંથી નેગેટીવ થયેલા દર્દીના પ્લાઝમા કલેક્ટ કર્યા હતા અને જરૂરી તમામ પરીક્ષણો કર્યા હતા.
પ્લાઝમા દાતા તરફથી મળેલા કન્વલ્સન્ટ પ્લાઝમા અમદાવાદની એસવીપી હોસ્પીટલમાં કૉવીડ ની સારવાર લઈ રહેલા બે દર્દીઓ એક 50 વર્ષના પુરુષ અને 50 વર્ષના એક મહિલા દર્દીને આપવામાં આવ્યા હતા. આજે બે દિવસ પછી આ બેય દરદીઓની ઓકિસજન ની જરૂરિયાત અન્ય કંટ્રોલ ગ્રુપ ની સરખામણીમાં ઓછી થઈ છે. આ પ્રયોગથી દર્દીઓ સાજા થવાની સરકારને આશા જન્મી છે.