ગાંધીનગર– ગુજરાતમાં કોરોના વાયરસના કારણે સંક્રમિત થયેલા દર્દીઓ માટે રાજ્યભરના તમામ જિલ્લાઓમાં કાલે 100 બેડની હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને આજે 33 જિલ્લામાં 3300 બેડની હોસ્પિટલો તૈયાર કરી દેવામાં આવી હોવાનો દાવો આરોગ્ય વિભાગે કર્યો છે.
ગુજરાતમાં કોરોનાના પોઝિટીવ કેસોની સંખ્યા 58 થઇ છે અને કુલ પાંચના મોત થયાં છે. લોકડાઉનની સ્થિતિની સમીક્ષા કરીને વધુ પોલીસ પહેરો રાખી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં હાલ ઇન્ક્યુબેશન સ્ટેજમાં હોવાથી કોરોનાના કેસો વધવાની સંભાવના જોતાં સરકારે જિલ્લાઓના મથકોએ હોસ્પિટલો બનાવી દીધી છે. ગુજરાતમાં આજે કુલ ત્રણ પોઝિટીવ કેસ સામે આવ્યા છે.
અમદાવાદમાં 47 વર્ષના પુરુષનો નવો કેસ નોંધાયો હતો, દુર્ભાગ્યવશ આજે આ વ્યક્તિનું નિધન થયું છે. આ પુરુષમાં ડાયાબિટીસના લક્ષણો પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમાં 67 વર્ષના એક મહિલા પણ પોઝિટિવ જણાયા છે જેને લોકલ ટ્રાન્સમિશન થી ચેપ લાગ્યો હતો. આ ઉપરાંત 34 વર્ષના અમદાવાદના એક પુરુષને પણ કોરોના પોઝિટિવ જણાયો છે. આ યુવાનમાં મુંબઈની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જણાઈ છે. આમ ગઇકાલ સાંજથી અત્યાર સુધીમાં નવા ત્રણ પોઝિટિવ કેસ જોવા મળ્યા છે.
ગુજરાતમાં આ સાથે પાંચ વ્યક્તિઓના મૃત્યુ નીપજયા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આજે સવારે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વડોદરામાં ત્રણ વ્યક્તિઓ કે જેમને પોઝિટિવ કેસ હતા તેઓ સારવાર પછી હવે સારા થઈ ગયા છે. આમ છતાં તેમને પ્રોટોકોલ પ્રમાણે 14 દિવસના આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યારે 19,661 વ્યક્તિઓ ક્વૉરેન્ટાઈન હેઠળ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ક્વૉરેન્ટાઈનનો ભંગ કરનાર 236 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
ડો. જયંતિ રવિએ ઉમેર્યું કે, રાજ્યમાં જે 58 કેસ પોઝીટીવ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 21, સુરતમાં 07, રાજકોટમાં 08, વડોદરામાં 09, ગાંધીનગરમાં 09, ભાવનગર, કચ્છ, મહેસાણા અને ગીર સોમનાથ સહિત પ્રત્યેક જિલ્લામાં એક-એક કેસ નોંધાયો છે.
જ્યંતિ રવિએ કહ્યું હતું કે કોરોના વાયરસ સંદર્ભે સંભવિત સંક્રમણને અટકાવવા તથા પોઝીટીવ દર્દીઓને તત્વિરત સારવાર પૂરી પાડવા રાજ્યનું વહીવટી તંત્ર સૂંપૂર્ણ સજ્જ છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને દરરોજ કોર કમિટીની બેઠકમાં જરૂરી માર્ગદર્શન અને યોગ્ય નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે. રાજ્યના ચારેય મહાનગરો અને જિલ્લા કક્ષાએ 5500 જેટલા બેડની અલાયદી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ ખાતે 1200, સુરત ખાતે 500, વડોદરા ખાતે 250, રાજકોટ ખાતે 250 બેડની સુવિધાવાળી ખાસ કોવિડ હોસ્પિટલ કાર્યરત થઈ ગઈ છે. એજરીતે રાજ્યના તમામ જિલ્લામાં 50 સરકારી અને 50 ખાનગી મળી અંદાજે 100 બેડની સુવિધા વાળી 3300 બેડની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
પોઝીટીવ કેસોના દર્દીઓ કે જે વધુ ક્રિટીકલ હોયતો તેમને વેન્ટીલેટરની જરૂરિયાત પડે તેવા કિસ્સાઓમાં સારવાર પૂરી પાડવા રાજ્યમાં કુલ 2761 વેન્ટીલેટર્સ ઉપલબ્ધ છે જેમાં 1061 સરકારી સંસ્થામાં અને 1761 ખાનગી સંસ્થાઓમાં ઉપલબ્ધ છે. નવા વેન્ટીલેટર્સ ખરીદવાની પક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. એન.જી.ઓ અને અન્ય સેવાભાવી સંસ્થાઓએ નવા વેન્ટીલેટર્સ પૂરા પાડવા માટેની તૈયારી દર્શાવાઈ છે.
દેશના તમામ રાજ્યોને માસ્ક, પીપીઈ (પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વીપમેન્ટ) સહિત દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં સમાન રીતે જરૂરિયાત મુજબ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સુચારૂ રીતે સુગ્રથિત વ્યવસ્થા ઉભી કરાઈ છે એ માટે જે રાજ્યોનું ઈન્ડેક્ટ આવે એ મુજબ ફાળવણી કરાઈ રહી છે. આપણે પણ આપણી જરૂરિયાત મોકલી દીધી છે અને હવાઈ માર્ગે જથ્થો આવવાનો શરૂ પણ થઈ ગયો છે.