ગાંધીનગર– ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 468 પોઝિટીવ કેસો સામે આવ્યા છે જ્યારે 22 દર્દીના મોત થયાં છે. રાજ્યમાં જ્યારથી કોરોના સંક્રમણ શરૂ થયું છે ત્યારથી આરોગ્ય વિભાગે કુલ 9763 વ્યક્તિના ટેસ્ટ કરાવ્યા છે જે પૈકી 8888 વ્યક્તિના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.
આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ કહ્યું હતું કે ગુજરાતમાં કોરોના વાયરસના વધુ 36 કેસ સાથે વધુ ત્રણના મોત થયાં છે. રાજ્યમાં વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે શનિવારે સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધી સૌથી વધુ 18 કેસ વડોદરામાં થયા છે. 15 કેસ સાથે અમદાવાદ બીજાક્રમે છે. એ ઉપરાંત ભરૂચ, ગાંધીનગર અને છોટાઉદેપુરમાં એક પોઝિટીવ કેસ થયો છે. ગુજરાતમાં પોઝિટીવ કેસનો આંકડો વધીને 468 થયો છે. ચાર દર્દીઓ હજી વેન્ટીલેટર પર છે. કુલ 44 ડિસ્ચાર્જ થયા છે અને 22નાં મોત થયાં છે.
ગુજરાતમાં જે ત્રણ દર્દીના મોત થયાં છે તે તમામ અમદાવાદના છે અને તેમની ઉંમર 65 થી 70 વર્ષની વયની છે. જે દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમાં એક અમદાવાદ, બે ભાવનગર, બે પોરબંદર, બે ગાંધીનગર, બે સુરત અને એક રાજકોટનો સમાવેશ થાય છે. ગુજરાતમાં હાલની સ્થિતિએ કુલ 12042 ક્વોરેન્ટાઇન છે જે પૈકી 10735 હોમ ક્વોરેન્ટાઇનમાં છે. છેલ્લા 24 કલાકમાં 2045 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી 1548 નેગેટીવ છે, 90 પોઝિટીવ છે અને 407 પેન્ડીંગ છે.
કોરોના શરૂ થયા પછી ગુજરાતના આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં 9763 ટેસ્ટ કરાવ્યા છે જે પૈકી 8888 નેગેટીવ આવ્યા છે. હજી 407ના રિપોર્ટ આવવાના બાકી છે. રાજ્યમાં કોરોના રિલેટેડ કોલની સંખ્યા 38982 છે જે પૈકી 669 લોકોને સારવાર આપવામાં આવી છે. ગુજરાતમાં સૌથી વધુ 243 કેસો એકલા અમદાવાદના છે. બીજાક્રમે 95 દર્દીઓ સાથે વડોદરા આવે છે. ત્રીજાક્રમે 28 સાથે સુરત અને ચોથાક્રમે 23 સાથે ભાવનગર આવે છે. પાંચમાક્રમે 18 સાથે રાજકોટ અગ્રસ્થાને છે. રાજ્યમાં કુલ કેસો પૈકી 403માં લોકલ ટ્રાન્સમિશન માલૂમ પડ્યું છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.