ગાંધીનગર- ગુજરાતમાં પ્રત્યેક જિલ્લામાં હોસ્પિટલ બનાવવાની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રીએ કરી છે. આ હોસ્પિટલમાં 100 બેડની સુવિધા રહેશે, જે માત્ર કોરોના વાયરસના દર્દીઓ માટે અનામત હશે. આજે સાંજે મુખ્યમંત્રીએ કુલ ત્રણ મહત્વની જાહેરાતો કરી હતી જે પૈકી હોસ્પિટલ ઉભી કરવાની જાહેરાતનો તેમાં સમાવેશ થાય છે. આ નિર્ણય કોર કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો છે.
વિશ્વવ્યાપી કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં ગુજરાતમાં સર્જાયેલી પરિસ્થિતીની નિયમીત સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
કોરોનાની અસરથી જાન ગુમાવવાનો વારો આવે તેવા વિપરિત સંજોગોમાં રાજ્ય સરકાર પોલીસ-સુરક્ષાકર્મીને 25 લાખની સહાય આપશે તેવી બીજી મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેને રાજ્યમાં સફળ બનાવવા પોલીસકર્મીઓ 24 કલાક દિવસ-રાત ફરજ બજાવે છે.
એકબીજાના સંપર્કમાં આવવાથી વ્યાપકપણે ફેલાતો કોરોના વાયરસ વધુ પ્રસરે નહી તે માટે કોઇપણ વ્યકિત પોતાના ઘરની બહાર ન નીકળે, લોકો પોતાના ઘરમાં જ રહે તે માટે પોતે પોતાના જીવને જોખમમાં મૂકીને પણ સતત ફરજ બજાવતા પોલીસ, એસ.આર.પી, ગ્રામરક્ષક દળ, હોમગાર્ડ અને ટ્રાફિક જવાનો સહિત જેઓ લોકોની સુરક્ષા સાથોસાથ જરૂરિયાતની સેવાના કામો પણ આ વિકટ પરિસ્થિતીમાં કરે છે. નિ:સહાય વૃદ્ધોને મદદ કરવી, નિરાધાર લોકોને જમવાની વ્યવસ્થા સંભાળવી જેવા સેવાના કામો કરતા આ સુરક્ષાકર્મીઓ પ્રત્યે માનવીય સંવેદના દર્શાવી રાજ્ય સરકારે તેમની સહાયતા માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ આવા જવાનોને કોરોના સંદર્ભમાં ફરજ દરમિયાન ગંભીર બિમારીની સ્થિતી સર્જાય અને કોઇનું દુઃખદ અવસાન થાય તો તેમના પરિવારજનોની વિપદામાં પડખે ઉભી રહી રાજ્ય સરકાર 25 લાખની સહાય કરશે. તેમણે કહ્યું કે કોરોના સામેનો આ જંગ ઓછામાં ઓછા લોકોના મૃત્યુથી આપણે જીતવો છે. આમ છતાં જો કોઇ વિકટ સ્થિતી સર્જાય અને આવા સુરક્ષાકર્મી પોતાનો જીવ ગુમાવે તો રાજ્ય સરકાર તેમની પડખે રહે તેવા ઉદાત્ત ભાવથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.
રૂપાણીએ કહ્યું કે કોરોના વાયરસ અને પોઝીટીવ કેસોનો ગ્રાફ જો વધે તો સારવાર સુવિધા માટે રાજ્યના મહાનગરો ઉપરાંત પ્રત્યેક જિલ્લામથકે 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ આઇસોલેશન હોસ્પિટલમાં વેન્ટીલેટર સાથે 10 આઇ.સી.યુ અને 90 બેડની સુવિધા વ્યવસ્થા તાકીદે કરવામાં આવશે.
રૂપાણીએ કહ્યું કે દરેક ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી 25 લાખ કોરોના વાયરસના ઇલાજ માટે દવાઓ-સાધન સુવિધાઓ માટે ગુજરાત હેલ્થ સોસાયટીને આપશે. ધારાસભ્યોની આ રજૂઆતને ધ્યાને લઇને રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ ગ્રાન્ટ કોરોના વાયરસના ઇલાજ અને દવાઓ, વેન્ટીલેટર, ડાયાલીસીસ મશીન, પોષાક સુવિધાઓ તથા ટેસ્ટીંગ સાધનો માટે ગુજરાત હેલ્થ સોસાયટીને આપશે.