Dharampur હાલમાં ધરમપુર ગામમાં શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક ટ્રસ્ટ દ્વારા એક અનોખા શૈક્ષણિક સંકુલના નિર્માણનો પાયો નખાવા જઈ રહ્યો છે, ત્યારે જાણીએ કે ખરેખર આ પ્રકલ્પની વિશેષતા શું છે.
શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક ટ્રસ્ટ અંતર્ગત છેલ્લા 20 થી વધુ વર્ષોથી શાળાઓ, વિજ્ઞાનપ્રવાહની કોલેજ, સ્કિલ ડેવલપમેન્ટ સેંટર સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓ સફળતાપૂર્વક કાર્યરત છે. તેમના આ આગામી શૈક્ષણિક સંકુલના પ્રોજેક્ટમાં વધુ ઊંડા ઉતારતાં જણાય છે કે આ ખુબ દૂરદૃષ્ટિથી કરાયેલ લાંબા ગાળાની વિકાસલક્ષી પરિકલ્પના છે. આ વિશાળ સંકુલમાં નવીન સ્કિલ ડેવલપમેન્ટ સેંટર, નર્સિંગ કોલેજ અને ઉદ્યોગસાહસિકતા, ટૂંકા ગાળાના ખેતી તથા કોમ્પ્યુટર સંબંધિત અનેક અભ્યાસક્રમો શરુ થવાના છે, જેનો લાભ દર વર્ષે 3500 થી વધુ વિદ્યાર્થીઓ લઇ શકશે. આમાં મુખ્ય લાભાર્થીઓ હશે, ધરમપુર તાલુકાના વિદ્યાર્થીઓ જેમાં ખાસ કરીને કરંજવેરી ગામના વિદ્યાર્થીઓ, કે જ્યાં આ પ્રોજેક્ટનું નિર્માણ થઇ રહ્યું છે તેમ જ સામાજિક તથા આર્થિક રીતે વંચિત જૂથના વિદ્યાર્થીઓ પણ અહીં શિક્ષણ પામશે. હાલ આવું ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ મેળવવા વિદ્યાર્થીઓએ દૂર દૂર સુધી જવું પડે છે. પણ અહીં કન્યા છાત્રાલય અમે કિશોર છાત્રાલય પણ બનાવવામાં આવનાર છે, જેમાં 1100 વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા થનાર છે, આંતરિયાળ ગામોમાંથી આવતાં વિદ્યાર્થીઓ અહીં રહીને ભણી શકશે.
શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક ટ્રસ્ટના આ પ્રકલ્પમાં આવેલ અનેક અભાસક્રમોથી શીખેલા અનેક કૌશલ્યો અને શિક્ષણ દ્વારા આ હજારો વિદ્યાર્થીઓ મોટી મોટી કંપનીઓમાં મોટો હોદ્દો પામે એવી યોજના છે. તેઓ ઇલેક્ટ્રિક, કોમ્પ્યુટર, ખેતી, કેમિકલ, ફાર્મા, પ્લાસ્ટિક, ટેક્સટાઇલ વગેરે અનેક ઉદ્યોગોમાં રોજગાર મેળવી શકશે. તેઓ સ્વ રોજગાર કે ધંધો કે સ્પોર્ટ્સ કોચિંગ પણ કરી શકશે. આ ઉપરાંત તેમને માટે સરકારી નોકરીની તકો પણ વધી જશે જેમ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલમાં તેમ જ શાળાઓ અને કોલેજ ખાતે શિક્ષક તરીકે નોકરી મેળવી શકશે. સાથે જ આ વિશાલ સંકુલની જરૂરિયાતો પુરી પાડવા વિવિધ એજન્સી જેમ કે સિક્યોરિટી, હાઉસકીપિંગ, ટ્રાન્સપોર્ટ, ફૂડ, લોજિસ્ટિક તથા નાના ઉદ્યોગોને કામ મળશે અને 800 જેટલા સ્થાનિક લોકોને શિક્ષક, ટ્રેનર, ક્લેરિકલ સ્ટાફ વગેરેની નોકરી કરવાની તક મળશે.
View this post on Instagram
આમ આ માત્ર વિદ્યાલય જ નહિ હોય પણ સ્વમાનભેર આજીવિકા રળવાની ક્ષમતા આપી આ સ્થાનિક યુવાઓના સોનેરી ભવિષ્યને ઘડનારો એક મહા સંકલ્પ છે. જે માત્ર તેમને જ નહિ પણ તેમના સમગ્ર પરિવારને અને તે દ્વારા કરંજવેરી ગામ અને ધરમપુર તાલુકાના ગામોને વિકાસને પંથે લઇ જનાર મહા પ્રકલ્પ છે.