ગાંધીનગર:કોરોના સંક્રમણના કેસો વધતાં અમદાવાદની જેમ સુરતમાં કરફ્યુ નાંખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે.
રૂપાણીએ આજે સુરત શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણની સ્થિતી અંગે મુખ્ય સચિવ અનિલ મુકિમ, પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા, ગૃહ વિભાગના એસીએસ સંગીતા સિંહ અને સુરત શહેરના પોલીસ કમિશનર, મ્યુનિસીપલ કમિશનર અને જિલ્લા કલેકટર સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સમીક્ષા કરી હતી.
કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા લોકડાઉનને વધુ સખ્ત બનાવવા અંગે પણ આ વિડીયો કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી. વિડીયો કોન્ફરન્સમાં થયેલી ચર્ચા-વિચારણા સંદર્ભમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે 16ની મધરાતથી 22મી એપ્રિલના સવારે છ વાગ્યા સુધી સુરત શહેરના ચાર પોલીસ મથકોમાં કરફ્યુનો અમલ કરવાનો રહેશે.
જે પોલીસમથકોના વિસ્તારમાં કરફયુનો અમલ થવાનો છે તેમાં સલાબતપુરા પોલીસમથક, મહિધરપુરા પોલીસમથક, લાલગેટ પોલીસમથક, અઠવા પોલીસમથક અને લિંબાયત પોલીસમથકના કમરૂનગર પોલીસમથક વિસ્તારમાં કરફયુ રહેશે.
કરફયુના આ દિવસો દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, દવાઓ, કરિયાણુ વગેરેની ખરીદી માટે બપોરે 1 થી 4 ના સમયમાં માત્ર મહિલાઓ માટે કરફયુમુકિત આપવામાં આવશે.