પાટીદારોને ન્યાય અપાવવા માટે ભાજપ નેતા રેશમા પટેલ તડ અને ફડ કરવાના મૂડમાં હોવાનું લાગી રહ્યું છે. થોડા વખત પહેલા સોશિયલ મીડિયામાં પાટીદારોના શહીદ પરિવારોને ન્યાય અાપવાની માંગ કરતી પોસ્ટ મૂકી હતી તો આજે એ દિશામાં આગળ વધી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળી રૂબરૂમાં રજૂઆત કરી છે. રેશ્મા પટેલ એક સમયે હાર્દિકની સાથે પાટીદાર અનામત આંદોલનમાં સામેલ હતા તે હવે ભાજપના મહિલા આગેવાન બન્યા છે.
અમદાવાદના પાંચ શહીદ પાટીદાર યુવાનોના પરિવારજનો સાથે રેશ્મા પટેલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસે પહોંચ્યા હતા. ડે. સીએમ સાથેની મુલાકાતમાં તેમણે મૃતક પાટીદાર યુવાનોના પરિવારજનોને લાભ ન મળ્યા હોવા અંગે રજૂઆત પણ કરી હતી.
નાયબ મુખ્યમંત્રીને મળ્યા બાદ રેશ્મા પટેલે નિવેદન આપ્યુ હતુ કે સરકાર આ મુદ્દે સંવેદનશીલ છે. મૃતકોના વારસદારોને નોકરી આપવાની દિશામાં પ્રયત્નશીલ છે. આ સાથે જ રેશ્માએ એમ પણ કહ્યુ કે મૃતક પાટીદાર યુવાનોના પરિવારજનમાંથી કોઇને અર્ધ સરકારી, સહકારી સંસ્થાઓમાં નોકરી આપવામાં આવે.
રેશ્મા પટેલે કહ્યું કે ઝડપથી આ મુદ્દે નિર્ણય લેવામાં આવે અને સરકાર પ્રયત્નશીલ બને. રેશમા પટેલે એમ પણ કહ્યુ કે અલ્પેશ કથીરીયાની જેલમુક્તિ માટે પણ પ્રયાસો ચાલુ છે. મારા માટે પહેલા સમાજ અને પછી પક્ષ છે. અલ્પેશ કથીરીયાની સાથે મારી લાગણી જોડાયેલી છે.