સરકારના અનેક પ્રયાસો અને ભક્તોની લાગણી છતાં કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે અમદાવાદમાં 143મી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની મંજૂરી ન આપી. બીજી તરફ વ્યવસ્થાના ભાગરૂપે મંદિરમાં જગન્નાથ મંદિર ખાતે જ રથોને પરિક્રમા કરાવવામાં આવી હતી. જે બાદ રથોને મંદિરમાં ભક્તોના દર્શન માટે લાઇનમાં મૂકી દેવામાં આવ્યા છે. આ દરમિયાન રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સતત ખડેપગે મંદિર ખાતે હાજર રહીને તમામ વ્યવસ્થા સંભાળી રહ્યા છે.
મંદિરમાં આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તેની પણ તેઓએ ખૂબ કાળજી રાખી હતી. આ દરમિયાન એક ક્ષણે તેમણે જેસીપીને બોલાવીને ભક્તો સામે લાકડી ન ઉગામવાની સૂચના આપી હતી. અમિત વિશ્વકર્મા પાસે આવતા તેમણે તેમને ભક્તોને લાકડીથી દૂર ન કરવાની સૂચના આપી હતી. ભક્તોની લાગણીને ઠેંસ ન પહોંચે તેનું ધ્યાન રાખવાની સૂચના પ્રદીપસિંહે પોલીને આપી હતી. પ્રદીપસિંહ મંગળા આરતી પહેલાથી જ ભગવાન જગન્નાથ મંદિર પહોંચીને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. તેમને મંદિર ખાતે એક ખાસ રૂમ ફાળવવામાં આવ્યો છે. આ દરમિયાન સવારે રથોને મંદિરમાં પરિક્રમ કરાવ્યા બાદ લોકોનાં દર્શન માટે લાઇનમાં ગોઠવી દેવામાં આવ્યા હતા.
આ દરમિયાન પ્રદીપસિંહ મહંતની ઓફિસમાં બેઠા હતા. તેમણે જોયું કે પોલીસકર્મીઓ લાકડીથી ભક્તોને દૂર કરી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે પોલીસ લાકડીને પ્રયોગ કરી રહી હોવાનું જાણતા જ પ્રદીપસિંહ ઓફિસમાંથી બહાર આવી ગયા હતા અને ત્યાં હાજર જેસીપી અમિત વિશ્વકર્માને પોતાની પાસે બોલાવ્યા હતા. હાઇકોર્ટના આદેશના પગલે રથયાત્રાને મંદિર બહાર કાઢી શકાય નહીં. જોકે, આ દરમિયાન મંદિરના મહંત દિલીપદાસજી રથયાત્રાને ગેટ બહાર કાઢવાની માંગ સાથે ભાવુક થઈ ગયા હતા. આ દરમિયાન પણ પ્રદીપસિંહે મંદિરના ટ્રસ્ટીઓ સાથે મળીને તેમને મહંતને સમજાવ્યા હતા. અંતે મહંત માની જતાં રથોની મંદિરમાં જ પરિક્રમા કરાવવામાં આવી હતી.