ધાર્મિક સંસ્થાઓ અને શિક્ષણ સંસ્થાઓને પવિત્ર સ્થાન માનવામાં આવે છે, પણ આજે શિક્ષણ સંસ્થા હોય કે ધર્મ સ્થાન દરેક જગ્યા પરથી ગુનાહિત પ્રવૃત્તિના સમાચાર ક્યાંકને ક્યાંક સામે આવતા હોય છે. આજે પણ એક પ્રખ્યાત ધર્મ સંસ્થા માટે શર્મજનક ઘટના સામે આવી છે. અમદાવાદના પ્રખ્યાત કાલુપુર સ્વામી નારાયણ મંદિરના સ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
કાલુપુર સ્વામિનારાયણ મંદિર 24 વર્ષનો યુવાન મનોજ (નામ બદલીને) છેલ્લા 15 દિવસથી મંદિરના જૂના બિલ્ડિંગમાં સૂર્યપ્રકાશ સ્વામીના રૂમમાં વાંચવા જતો હતો. 13 ડિસેમ્બર, ગુરુવારે રાતે 11.30 વાગ્યે મનોજ તેના મિત્ર સાથે સૂર્યપ્રકાશ સ્વામીના રૂમમાં વાંચવા ગયો હતો. થોડી વાર પછી મંદિરમાં જ રહેતા વિશ્વેસ્વરૂપ સ્વામી મનોજના રૂમમાં આવ્યા હતા અને મનોજને કહ્યું હતું કે બહાર મારી ગાડી પડી છે તેને કવર ઢાંકી દે, મનોજને પગમાં વાગ્યુ હોવાથી તેણે સ્વામીને ગાડીને કવર ઢાંકવાની ના પાડી દીધી હતી
જેથી વિશ્વેસ્વરૂપ સ્વામી ગુસ્સે થઇ ગયા હતા. તેમણે મનોજના શર્ટનો કોલર પકડી તેની છાતી તેમજ ગુપ્ત ભાગે હાથ ફેરવીને અડપલાં કરવા લાગ્યા હતા. સ્વામી વિશ્વેસ્વરૂપે મનોજ અને તેના મિત્રને મંદિરની બહાર કાઢતી વખતે ધમકી આપી હતી કે તારાથી જે થાય તે કરી લેજે. આ અંગે પીઆઈ આર.જી. દેસાઈએ કહ્યું કે, જરૂરી પુરાવા એકઠા કર્યા પછી સ્વામીની ધરપકડ કરીશું.