અમદાવાદ: કોરોના કહેરમાં અમદાવાદમાં હોસ્પિટલોમાં બેડની અછત વચ્ચે જીએમડીસી ગ્રાઉન્ડમાં ધન્વંતરી હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કાર્યકરત ધન્વંતરી હૉસ્પિટલ ખાતે દર્દીઓની સુવિધા માટે દાખલ થવાની પ્રક્રિયા વધુ સરળ કરવામાં આવી છે. જે પ્રમાણે હવે ક્રિટીકલ દર્દીઓને સીધો જ પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત એક ‘ફર્સ્ટ રિસ્પોન્સ ટીમ’ પણ બનાવવામાં આવી છે. જે અહીં આવતા દર્દીઓની તપાસ કરીને જરૂર પડે તો અંદર રહેલા ડૉક્ટરો સાથે સંકલન કરીને દર્દીઓને સીધા જ દાખલ કરવામાં મદદ કરશે.
ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે કાર્યરત કરવામાં આવેલી ધન્વંતરી કોવિડ હૉસ્પિટલમાં દર્દીઓની ઉત્તમ સુવિધાઓ સાથે સર્વોત્તમ સારવાર થઈ રહી છે. દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવા માટે અને દર્દીઓની હાલાકી દૂર કરવા માટે ધન્વંતરી કોવિડ હૉસ્પિટલમાં કોવિડગ્રસ્ત દર્દીઓના પ્રવેશ માટે ટોકન સિસ્ટમનો આરંભ કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે ક્રિટીકલ દર્દીઓને પણ સીધા જ દાખલ કરવામાં આવે છે.
આ માટે અલગ વ્યવસ્થા કરીને દર્દીઓને સીધા જ દાખલ કરવામાં આવે છે. આ પ્રકારની સુદ્રઢ વ્યવસ્થાને પગલે ક્રિટીકલ અને જરૂરિયાતમંદ દર્દીઓને કોઈપણ પ્રકારના વિલંબ વગર દાખલ કરવામાં આવી રહ્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે ટોકન ફાળવવામાં આવ્યા હોય તે ઉપરાંત 108 અને ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને પણ પ્રવેશ આપવામાં આવે છે. આ રીતે દર્દીઓની વ્યથા દૂર થઈ છે અને વ્યવસ્થા ઉભી થઈ છે.
સાથે સાથે હોસ્પિટલમાં સત્વરે ફર્સ્ટ રિસ્પોન્સ ટીમો પણ કાર્યરત કરી દેવાઈ છે, જેથી દર્દીઓને સારવારમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય. ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ નવી વ્યવસ્થાનું સતત નિરિક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત ધન્વતરી કોવિડ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહેલા દર્દીઓને ઉત્તમ પ્રકારની આરોગ્ય સેવા મળી રહે તે માટે તબક્કાવાર માનવબળનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે. જેના પગલે આરોગ્ય સેવા વધુ સુદ્રઢ બનશે. દર્દીઓને સહેજ પણ અગવડ ન પડે તે માટેની તકેદારી રાખવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ હૉસ્પિટલમાં હાઉસ કિપિંગ સ્ટાફ, વોર્ડબોયની નિમણૂક કરવામાં આવી છે. આ સ્ટાફ 24X7 દર્દીઓની સેવા માટે કાર્યરત રહેશે. કોવિડ ધન્વંતરી હોસ્પિટલમાં આયોજનબદ્ધ રીતે કામગીરી ચાલી રહી છે, જેનો લાભ અંતે સામાન્ય નાગરિકોને થઈ રહ્યો છે.