અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે રથ ખેંચનાર ખલાસીઓને રસી લેવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મંદિરના સેવક, ટ્રસ્ટી અને મહંત દિલીપદાસજીએ રસી લીધી છે. ભગવાનના નેત્રોત્સવ વિધિ માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ આ પ્રસંગે ફરી વાર ગુજરાત મુલાકાતે આવશે. તેઓ 12 જુલાઈએ એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે અને રથયાત્રાના દિવસે સહપરિવાર ભગવાન જગન્નાથના દર્શન કરશે. અમિત શાહ દર વર્ષે રથયાત્રાના દિવસે પરિવાર સાથે મંગળા આરતીમાં હાજર રહે છે. ત્યારે તેઓ આ વખતે પણ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરશે.આ સાથે જ બીજી તરફ ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથયાત્રાને લઈને તૈયારીઓ ચાલી રહી છે. સરસપુર ખાતેના રણછોડજી મંદિર ભાણેજના સ્વાગત માટે તૈયાર છે. દર વર્ષની જેમ મામેરું અને ભાણેજનું ભાવભીનું સ્વાગત કરવા મોસાળ ખાતે તૈયારી શરૂ કરી દેવાઇ છે. બીજી બાજુ સ્થાનિક પોલીસ દ્વારા પણ ફૂટ પેટ્રોલિંગ કરીને રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
