મદાવાદઃ
500 અને 1000 રૂપિયાની નોટબંધીની અસર માત્ર લોકોને જ નહીં પણ ગુજરાતના મુખ્ય મંદિરોમાં પણ પડી રહી છે. ગુજરાતના મોટા મંદિરોની દાન પેટીઓ ભક્તોના દાનથી છલકાતી હતી જે હવે ખાલી જોવા મળી રહી છે. કારણ માત્ર એટલું જ કે મંદિરોએ પણ 500 અને 1000 રૂપિયાની નોટ સ્વિકારવામાં નથી આવતી. મંદિરના સંચાલકો હવે નોટબંધીની અસર હળવી કરવા માટે અન્ય વિકલ્પ તરફ વળ્યાં છે. અંબાજી મંદિર ખાતે આજે સીએમ રૂપાણીએ સ્વાઈપ મશીન દ્વારા ડિઝિટલ ડોનેશનનો પ્રારંભ કરાવ્યો હતો.
રૂપાણીએ કર્યું રૂ. 31,000નું ‘કેશલેસ’ દાન: અંબાજી ખાતે કેશલેસ દાનનો પ્રારંભ કરાવતા રૂપાણીએ કાર્ડ સ્વાઈપ કરીને પત્નીના નામે રૂ. 31,000નું દાન કર્યું હતું. અંબાજી ઉપરાંત ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ, દ્વારકાધીશ, અંબાજી, બહુચરાજી સહિતના મંદિરોના વહીવટીતંત્ર દ્વારા કેશલેસ દાન તેમજ ભક્તો માટે ઈ-વોલેટ જેવી સુવિધા શરૂ કરવા માટે મોબાઈલ વોલેટની સર્વિસ આપતી કંપનીઓ સાથે ચર્ચા ચાલી રહી છે. ટૂંક સમયમાં ગુજરાતના આ મંદિરોમાં ઈ-વોલેટ દ્વારા દાન સ્વીકારશે.
અંબાજી મંદિર:- 500 અને 1000 રૂપિયાની ચલણી નોટ બંધ કરાતા મંદિરોમાં ભીડ ઓછી જોવા મળી રહી હતી અને ભક્તોને દાન કરવામાં પણ તકલીફ પડી રહી હતી. મંગળવારે અંબાજી ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સ્વાઈપ મશીન દ્વારા ડિઝિટલ ડોનેશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં HDFC બેંક દ્વારા 3 અને SBI દ્વારા બે સ્વાઈપ મશીન મૂકવામાં આવ્યા છે. હવેથી ભક્તો પોતાના ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી મંદિરમાં દાન કરાવી શકશે. આ ઉપરાંત મંદિરમાં આવેલા ભોજનાલયમાં પણ આ સુવિધા ઉપલબ્ધ કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હોવાનું અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ઈનચાર્જ જી.એલ. પટેલે જણાવ્યું હતું.
સોમનાથ મંદિર:- સોમનાથ મંદિરના અધિકારી ઉપેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે વર્ષોથી સોમનાથ મંદિરમાં સ્વાઈપ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં ડેબિટ અને ક્રેડિટકાર્ડથી ભક્તો દાન કરી રહ્યા છે. 500 અને 1000 રૂપિયાની ચલણી નોટ બંધ થયા બાદ સ્વાઈપ મશીનથી સોમનાથ મંદિરમાં આવી રહેલા દાનમાં 2થી 3 ટકાનો વધારો જોવા મળ્યો છે. મંદિરના મુખ્ય કાઉન્ટર પર એક મશીન રાખવામાં આવેલું છે. જ્યારે ટ્રસ્ટનું ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરન્ટ સહિતના તમામ સ્થળો પર સ્વાઈપ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ઈ-વોલેટની સુવિધા માટે પેટીએમ સાથે ચર્ચા ચાલી રહી છે.
ડાકોર મંદિર:- ડાકોર રણછોડરાય મંદિરમાં સ્વાઈપ મશીન આવતાં 15 દિવસ જેટલો સમય લાગશે. જ્યારે ઈ-વોલેટ આવતાં હજુ ઘણો સમય લાગશે. 8 તારીખે નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની ચલણી નોટ બંધ કરવાની જાહેરાત કરતાં મંદિરમાં થઈ રહેલા દાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. મંદિરના દાનમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ભક્તો દ્વારા ઓનલાઈન દાન કરવામાં આવી રહ્યું છે તે ચાલું જ છે, એમ ડાકોર મંદિરના મેનેજર રવિન્દ્રભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું.
દ્વારકા મંદિર:- દ્વારકા મંદિરને કેશલેસ કરવા માટે એક ખાનગી બેંક સાથે ચર્ચા ચાલી રહી છે. થોડા દિવસ પછી મંદિરમાં પણ દાન સ્વીકારવા માટે સ્વાઈપ મશીન મૂકવામાં આવશે. જેના કારણે ભક્તો કેસલેશ દાન કરી શકશે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.