ગાંધીનગર તા.8 : અમદાવાદ: મહિલા દિન નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દેશની 6 હજાર મહિલા સરપંચોને સંબોધવાના છે, ત્યારે ગાંધીનગર ખાતે કોઇપણ પ્રકારના વિરોધ-પ્રદર્શન ન થાય તે માટે તંત્ર અને પોલીસને ખાસ સૂચના આપી દેવામાં આવી છે. આ મુદ્દે અલ્પેશ ઠાકોરની અટકાયત કરાતા કણભા પાસે ઇન્દોર હાઇવે ચક્કાજામ કરાયો હતો. રોડ પર ટાયરો સળગાવતા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાની અટકાયત કરી હતી. તો બીજી તરફ ગાંધીનગરમાં કોંગ્રેસના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરે તે પહેલાં જ કોંગ્રેસ કાર્યાલયની બહાર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને તમામ કાર્યકરોને નજરકેદ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં પાટીદાર, દલિત, ખેડૂત અને મહિલાઓ પર દુષ્કર્મના મુદ્દે હોબાળો થઈ રહ્યો છે, ત્યારે આંગણવાડી મહિલા કર્મચારીઓને ન્યાય અપાવવા માટે અલ્પેશ ઠાકોરે રેલી કાઢવાની જાહેરાત કરી હતી. અલ્પેશ ઠાકોરે જાહેરાત કરી હતી કે, આઠમી માર્ચે વડાપ્રધાન મોદી મહિલા દિન નિમિત્તે ગુજરાતમાં આવશે, ત્યારે તેઓ આંગણવાડી મહિલા કર્મચારીઓની રેલી યોજીને ન્યાયની માંગણી કરાશે. અગાઉ ગાંધીનગરમાં આંગણવાડી મહિલા કર્મચારીઓને સંબોધતાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ તમારી સમસ્યાઓ ઉકેલવાની તસ્દી લીધી નથી, ત્યારે હું તમારા પ્રશ્નો નહીં ઉકેલાય ત્યાં સુધી ઝંપીને બેસીસ નહીં. આ રેલી નીકળે તે પહેલાં જ ક્લેક્ટર કચેરીની બહારથી અલ્પેશ ઠાકોર સહિત 200થી વધુ મહિલાઓની અટકાયત કરવામાં આવી છે.