આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તાને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થીવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે લોકસભામાં સાંસદના સવાલના જવાબમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ગુજરાત રાજ્યની ૨૫ પૈકી ૧૩ નદીઓના નીર ન્હાવા લાયક નથી. એક સમયએ નદીના નીર પીવા લાયક હતા પણ પ્રદુષણના લીધે હવે તે ન્હાવા લાયક નથી રહ્યા.
પાર્થિવરાજસિંહના કહેવા મુજબ લોકસભા ના અહેવાલ મુજબ કેન્દ્રના પર્યાવરણ મંત્રી એ જણાવ્યું હતું કે દેશ ની ૬૦૩ નદીઓના પાણી ની શુધ્ધતા ની ગુણવત્તા તપાસવા માં આવી તે પૈકી ૨૭૯ નદીઓ ના નીર ન્હાવા લાયક નથી. ગુજરાત રાજ્યમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ૨૫ નદીઓના પાણીની ગુણવત્તા ૬૪ સ્થળો ઉપર ચકાસવા માં આવી હતી. સંશોધનમાં ગુજરાત ની ૧૩ નદીઓ પ્રદૂષિત હોવા નું તારણ મળ્યું. જેના નીર ન્હાવા લાયક પણ નથી.
આ પાણી ગુણવત્તા તપાસવા માટે BOD વેલ્યુ તપાસવામાં આવી હતી. BOD એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ જે ૩ મિલિગ્રામ પ્રતિ લીટર સુધીનું હોવું જોઈએ તો જ એ ન્હાવા લાયક ગણાય જ્યારે સાબરમતીની BOD વેલ્યુ સ્તર ૨૯૨ જેટલું આવ્યું તે સામાન્ય કરતા ૯૭ ઘણું વધારે મળી આવ્યું છે જ્યારે ભાદર નદીનું BOD વેલ્યુ ૨૫૮.૬ મળી આવ્યું જે સમાન્ય કરતા ૮૬ ઘણું વધારે મળી આવ્યું છે. ગુજરાત રાજ્ય ની માતા સમાન જીવાદોરી ગણાતી સાબરમતી, ભાદર, ખારી, ધાડર, અમલાખાડી, વિશ્વામિત્ર, મીંઢોળા, મહી, શેઢી, ભોગાવો, ભૂખી ખાડી, દમણગંગા, તાપીના નીર હવે ન્હાવા લાયક પણ નથી રહ્યાં.
કેન્દ્ર સરકાર ને પર્યાવરણની બિલકુલ ચિંતા ના હોય તે સરકારના જવાબમાં પ્રતીત થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માં સૌથી વધુ ૬ પ્રદૂષિત નદી ને શૂન્ય રૂપિયા આપી જાણે ગુજરાત ના પર્યાવરણ ને તમાચો માર્યો હોય તેવું લાગે છે. ગુજરાત ની નદીઓ ને માતા ગણી ને પૂજન કરવા વાળા ગુજરાતીઓ એ જાગૃત થઈ અને નદીઓ ને પૂર્ણજીવિત અને શુદ્ધ નીર માટે તૈયારી કરવી પડશે. સરકાર ઘેરી નિંદ્રા માં છે તે દેખાઈ આવે છે. તેમ આક્ષેપ લગાવ્યો હતો.
ન્યાયતંત્રના વારંવાર ઠપકા, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તપાસ, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા વારંવાર નદીઓના પ્રદુષણ ઉપર અનેક રિપોર્ટ આવ્યા છતાં ઉદાસીન સરકાર, પર્યાવરણનું નખ્ખોદ કાઢવા જઈ રહી છે. રાષ્ટ્રીય નદી પુનરુદ્ધાર યોજના હેઠળ નદીઓના પ્રદુષણને ઘટાડવામાં આવે તે બદલ વિત્તિય સહાય આપવામાં આવે છે પણ ગુજરાતની સૌથી વધુ ૬ પ્રદૂષિત અને ૬ પ્રદૂષિત નદીઓ ને કેન્દ્ર સરકાર દ્વારા ઠેંગો બતાવવામાં આવ્યો તેમ આક્ષેપ કરતા કઠવાડીયાએ કહ્યું હતું.
સમગ્ર ભારતમાં બીજા નંબરની સૌથી વધુ પ્રદુષિત નદી સાબરમતીના કિનારે ચાઈનાનાજીંગ પીંગ ને ઝુલે ઝુલાવ્યા, સી-પ્લેનના તાયફા, અટલ બ્રીજના તાયફા, વોટર સ્પોર્ટસ ના તાયફા કર્યા, પણ સાબરમતીને પ્રદુષણથી બચાવવામાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ.
પ્રાયોરીટી-1 (30 એમ.જી. / લીટર કરતા વધારે)
અતિપ્રદુષિત નદી – BOD- (NRCP) વર્ષ 2022-2023
સાબરમતી 292 એમ.જી. / લીટર 0
ભાદર 258.6 એમ.જી. / લીટર 0
ખારી 195 એમ.જી. / લીટર 0
અમલાખાડી 49 એમ.જી. / લીટર 0
વિશ્વામિત્રી 38 એમ.જી. / લીટર 0
ઢાઢર 33 એમ.જી. / લીટર 0
પ્રાયોરીટી-2 (20-30 એમ.જી. / લીટર)
અતિપ્રદુષિત નદી BOD – NRCP વર્ષ 2022-2023
મીંઢોલા 28 એમ.જી. / લીટર 0
પ્રાયોરીટી-3 (10-20 એમ.જી. / લીટર)
અતિપ્રદુષિત નદી મળી આવેલ BOD – NRCP વર્ષ 2022-2023
મહી 12 એમ.જી. / લીટર 0
પ્રાયોરીટી-4 (6-10 એમ.જી. / લીટર)
અતિપ્રદુષિત નદી – BOD NRCP વર્ષ 2022-2023
શેઢી 6.2 એમ.જી. / લીટર 0
પ્રાયોરીટી-5 (3-6 એમ.જી. / લીટર)
અતિપ્રદુષિત નદી- BOD – NRCP વર્ષ 2022-2023
ભોગાવો 6 એમ.જી. / લીટર 0
દમણ ગંગા 5.3 એમ.જી. / લીટર 0
ભૂખી ખાડી 3.9 એમ.જી. / લીટર 0
તાપી 3.4 એમ.જી. / લીટર 91 કરોડ
નોંધ – પ્રદુષણ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અપાતું ફંડ (NRCP)