ધાનેરા તાલુકાના 54 ગામ ચૌધરી સમાજ દ્વારા સમાજમાં સામાજીક સુધારા અને સમૂહલગ્ન બાબતે આખો સમાજ ધાનેરાની કોલેજ કેમ્પસમાં મળ્યો હતો. સમાજમાં મોટા પ્રમાણમાં સુધારા માટે બેઠક મળી હતી. તાલુકામાં પાણીની સમસ્યા ઉભી થવાથી ખર્ચાઓ ઉપર પણ કંન્ટ્રોલ કરવા માટે તેમજ યુવાનોને દાઢી ના રાખવા આગેવાનો દ્વારા સામાજીક સુધારા કરાયા હતા અને જે નિયમનો ભંગ કરશે તેને દંડ કરવાની જોગવાઈ કરી છે.
ધાનેરા તાલુકામાં આંજણા ચૌધરી સમાજ જે રાજસ્થાનને અડીને હોવાથી કેટલાક સામાજીક વ્યસનો છે અને તેમાં પણ કોઇપણ ખોટા ખર્ચ વ્યસનમાં થતા હોવાથી તે બંધ કરાવવા તેમજ સમાજમાં સામાજીક સુધારા અને સમૂહલગ્ન બાબતે ચર્ચા વિચારણા કરવા માટે એક ખાસ સંમેલન બોલાવવામાં આવ્યું હતું. જેમાં શિકારપુરા ધામના ગાદિપતિશ્રી દયારામજી મહારાજ દ્વારા કહેવામાં આવ્યું કે, હિન્દુ ધર્મમાં દાઢી રાખવી એ સંત મહાત્માનું કામ છે પરંતુ યુવાનો આવી દાઢી રાખે એ સમાજને શોભતું નથી માટે દાઢી રાખવી જોઇએ નહીં. જેથી આવા વચનો પાળવા માટે પણ સમાજમાં કડક નિયમ બનાવ્યો હતો. જે યુવાનો દાઢીઓ રાખીને ફરે છે તે ન રાખવા માટે પણ ફરમાન જારી કરવામાં આવ્યું છે.
ફેશનેબલ દાઢી રાખનાર પાસેથી 51 હજારનો દંડ વસૂલવાની જોગવાઇ
દાઢી રાખનાર યુવાન સામે સમાજ દ્વારા દંડ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે, દાઢી રાખનારને 51 હજારનો દંડ ધાનેરાના 54 ગામ ચૌધરી સમાજ દ્વારા સમાજમાં દાઢી રાખનાર યુવાનના પરિવાર પાસેથી રૂ.51 હજારનો દંડ વસૂલવાની જોગવાઇ કરાઇ છે. તો ધાનેરાની ત્રિસી અને ચોવીસી સમાજના આગેવાનોએ અને યુવાનોની મિટિંગમાં સમાજમાં પ્રથમ સમૂહલગ્ન કરવાનું આયોજન કરાયું છે. ચૌધરી-આંજણા સમાજના કોઈ મરણ પ્રસંગમાં વ્યસનને તીલાંજલિ આપવાનો પણ ઠરાવ કરાયો છે તેમ છતાં કોઈ વ્યસન કરશે તો તેને એક લાખ દંડ કરવાની જોગવાઈ કરાઈ છે.
22 જેટલા સુધારાઓ કરીને ઠરાવ કરી તેનો કડક અમલ કરવા કહ્યું
આ સિવાય ભોજન પ્રસંગમાં પૌષ્ટિક ભોજન બનાવવું અને પીરસવા માટે ભાડૂતી માણસો ના લાવવાની પણ અપીલ કરાઈ છે તો લગ્ન પ્રસંગે ડીજે પર પ્રતિબંધ મુકવાની તેમજ જન્મ દિવસ હોટલમાં મનાવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગમાં ફટાકડા લિમિટમાં ફોડવા અને પત્રિકા સાદી છપાવવાનો પણ ઠરાવ કરાયો છે . ચૌધરી સમાજની આ બેઠકમાં સમાજીક સુધારણા વિશે ચર્ચાઓ કરાઇ હતી અને સમાજમાં થતા ખોટા ખર્ચાઓ તેમજ વ્યસનો બંધ કરવા માટે હાકલ કરતાં સમાજના તમામ લોકોએ તેમાં ટેકો પુરાવ્યો હતો. જેમાં વિવિધ 22 જેટલા સુધારાઓ કરીને ઠરાવ કરી તેનો કડક અમલ થાય તે માટે જોગવાઈ કરી હતી. જેને સમાજે વધાવી લીધો છે .
ધાનેરાના 54 ગામ ચૌધરી-આંજણા સમાજ દ્વારા તેમના સમાજના વિકાસ અને પ્રગતિ માટે જે 22 મુદ્દાઓનો અમલ કરાવવામાં આવશેઅને તેમાંય યુવાનોને દાઢી રાખવા ઉપર તેમજ લગ્ન પ્રસંગમાં ડી.જે ઉપર પ્રતિબંધ, હોટલમાં જન્મદિવસ ઉજવવા ઉપર પ્રતિબંધ અને વ્યસન ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને તેનું કોઈ ઉલ્લંઘન કરે તો દંડની જોગવાઈ કરી છે જેને લઈને બનાસકાંઠા અને મહેસાણાના અન્ય પરગણા અને ગોળના ચૌધરી સમાજના લોકો આ નિર્ણયને આવકારી રહ્યા છે અને તેમના સમાજના ગોળમાં પણ આ નિયમો લાગુ થાય તેમ ઈચ્છા વ્યક્ત કરી છે.