ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ટૂંકું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે, ત્યારે રૂપાણી સરકારની વિવિધ સ્તરે સરિયામ નિષ્ફળતાના સંદર્ભે વિધાનસભાને ઘેરાવ કરવાનો વિરોધ પક્ષ કોંગ્રેસે એલાન કર્યું છે. હાલ ગાંધીનગરમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્યોએ વિધાનસભા બાજુ કૂચ કરી હતી.
અટકાયતથી ક્રોધે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ પોલીસની ગાડીને નિશાન બનાવીને પથ્થરમારો અને સૂત્રોચ્ચાર કર્યો હતો. ભીડ અને કોંગ્રેસના કાર્યકરોએ પોલીસના વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસની વરૂણવાનના કાચ પણ કોંગ્રેસી કાર્યકરોએ તોડી નાખ્યા હતા.
કોંગ્રેસના કાર્યકરો વિધાનસભા પહોંચે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરવા માંડી છે. જેને લઈને આક્રોશમાં આવેલા કોંગ્રેસના કાર્યકરોએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો. આ ઉપરાંત સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરી રહ્યાં છે. કોંગ્રેસનો આરોપ છે કે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. ‘ગાંધી લડે ગોરો સે, હમે લડેંગે ચોરો સે’ ના સૂત્રોચ્ચાર ચાલી રહ્યા છે.
કૂચ પહેલા નેતાઓ ત્યાં હાજર કોંગ્રેસ અને NSUIના કાર્યકરોને સંબોધન કરી રહ્યાં છે. પરેશ ધાનાણીએ કહ્યું કે સામાન્ય માણસના અવાજને રૂંધવાનું પાપ થાય છે. વિરોધ પક્ષ પર સરકારના અત્યાચાર થાય છે. તેમણે કહ્યું કે સૂતેલી સરકારને જગાડવા માટે આ કૂચ કરીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાના ટૂંકા શિયાળુસત્રના પ્રારંભે કૉંગ્રેસે વિવિધ મુદ્દાઓને અનુલક્ષીને વિધાનસભા ઘેરવાનું એલાન આપ્યું છે. જોકે, સરકાર દ્વારા કૉંગ્રેસની વિધાનસભા કૂચને મંજૂરી ન આપવામાં હોવાથી પાટનગરમાં 1500 પોલીસકર્મીઓ ખડકી દેવામાં આવ્યા હતા.
કોંગ્રેસે જ્યાં રેલી યોજવાની પરવાનગી માગેલી તે ઘ-5 ખાતે મંજૂરી અપાઈ નથી, છેવટે દર વખતે સત્યાગ્રહ છાવણી ખાતે મંજૂરી અપાય છે ત્યાં એને દેખાવો યોજવાનું કહેવાયું છે. કોંગ્રેસને સભા કે રેલીની મંજૂરી આપવામાં આવી નહોતી, તેમ છતાં કોંગ્રેસની વિધાનસભા કૂચની જાહેરાતથી પોલીસનો ચુસ્ત બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 1500 પોલીસ જવાનોનો કાફલો ગાંધીનગરમાં ચુસ્ત બંદોબસ્ત સાથે ખડકી દેવામાં આવ્યો હતો. આ સિવાય પોલીસની સાથે SRPની 5 કંપનીઓ પણ બંદોબસ્તમાં ઉતારાઈ છે. કોંગ્રેસ મહિલા સુરક્ષા, પરીક્ષા કૌભાંડ અંગે સરકારને ઘેરશે.
હાલ મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસને સત્યાગ્રહ છાવણીમાં ધરણાની પોલીસ મંજૂરી મળી ગઈ છે, પરંતુ કોંગ્રેસને સભા કે રેલીની મંજૂરી આપવામાં આવી નથી. વિધાનસભાના સત્રની શરૂઆત થાય તે પહેલા જ કોંગ્રેસ સત્રમાં પક્ષના મુખ્ય નેતાઓ સહિત ધારાસભ્યોની ભૂમિકા નક્કી કરવા માટે બેઠક બોલાવી હતી. કોંગ્રેસ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રે બેઠક બોલાવી હતી. બેઠકમાં ખેડૂતો, શિક્ષણ, કમોસમી વરસાદ, મોંઘવારી, બેરોજગારી, મહિલા ઉપરના અત્યાચાર સહિતના મુદ્દે સરકારને ઘેરવાનું નક્કી થયું હતું.
બીજીતરફ, કોંગ્રેસ તા. 9મીના પ્રથમ દિવસે જ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માગ,કમોસમી વરસાદને કારણે ખેડૂતોને સહાય, ડીપીએસ સ્કૂલ, છ હજાર પ્રાથમિક સ્કૂલ બંધ કરવી સહિતના મુદ્દે વિધાનસભા તરફ કૂચ કરશે. કોંગ્રેસ આ મુદ્દાઓ વિધાનસભા દરમિયાન પણ ઉઠાવીને ગૃહમાં ઉઠાવશે તેમ સૂત્રોનું કહેવું છે.
બીજી બાજુ કોંગ્રેસ વિધાનસભા સુધી કૂચ લઈ જવા મક્કમ હોઈ નવાજૂનીની શક્યતા જણાઈ રહી છે. રવિવારે સાંજે કોંગ્રેસ વિધાનસભા પક્ષની ભોજન-સહ- બેઠક યોજાઈ હતી, જેમાં દરેક ધારાસભ્યોને ફરજિયાત સવારે ૯:૩૦થી ૧૧:૩૦ વાગે ગૃહ બહાર થનારા દેખાવોમાં જોડાવાની સ્પષ્ટ સૂચના અપાઇ હતી તેમજ અમદાવાદ- ગાંધીનગર સહિત આસપાસના ધારાસભ્યોને ફરજિયાત મોટી સંખ્યામાં કાર્યકરો સામેલ કરવા તાકીદ પણ કરાઈ છે.
આ વિધેયક પસાર થશે
– ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદ સુધારા વિધેયક
– ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધયેક
– જમીન મહેસૂલ તૃતીય સુધારા
– ગુજરાત સહકારી મંડળી દ્વિતીય સુધારા વિધેયક
– ગુજરાત સુક્ષ્મ લઘુ તથા મધ્યમ ઉદ્યોગ સાહસો અંગે સુધારા
– ગુજરાત વિદ્યુત શુલ્ક દ્વિતીય સુધારા વિધેયક
– વ્યવસાયી ટેક્નિકલ શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ(પ્રવેશ તથા ફી નિર્ધારણ) બાબત સુધારા વિધેયક
– સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટૂરિઝમ ગવર્નન્સ વિધેયક