Education Scheme: ૧૧ નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, અમૃતકાળમાં વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરતી ગુજરાત સરકારની મહત્વકાંક્ષી ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજના
• રાજ્યભરમાં ‘નમો લક્ષ્મી’ યોજનામાં સાત લાખ વિદ્યાર્થીનીઓને ૧૭૪ કરોડથી વધુની સહાઈ ચૂકવાઈ
• રાજ્યભરમાં ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનામાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓને ૪૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈ
Education Scheme: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આપ્યો છે. તેમના આ સંકલ્પને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની સરકાર અનેક વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ માટે સંકલ્પબદ્ધ છે. ગુજરાતના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુથી વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે બે નવી યોજના ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં નમો લક્ષ્મી યોજના હેઠળ અત્યાર સુધીમાં સાત લાખથી વધુ વિદ્યાર્થીનીઓને રૂ.૧૭૪ કરોડથી વધુની સહાય જ્યારે નમો સરસ્વતી યોજના હેઠળ એક લાખથી વધુ વિદ્યાર્થીઓને અંદાજિત રૂ. ૪૦ કરોડથી વધુની સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવાઈ છે.
Education Scheme રાજ્યના ખૂણે-ખૂણે ગુણવત્તાલક્ષી શિક્ષણને પહોંચાડવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ તથા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪માં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી છે.
આ બંને યોજનાઓ દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.
આ બંને યોજનાઓ શરૂ થવાથી રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીનીઓની સંખ્યામાં તેમજ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થશે.
નમો લક્ષ્મી યોજના
આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગની દિકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં સાત લાખથી વધુ વિદ્યાર્થીનીઓને રૂ. ૧૭૪ કરોડથી વધુની સહાય ચુકવવામાં આવી છે. આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કુલ રૂ. ૫૦ હજારની સહાય આપવામાં આવે છે.
જેમાં ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ દરમિયાન માસિક રૂ.૫૦૦ લેખે કુલ ૧૦ મહિનામાં રૂ. ૧૦ હજાર તથા ધોરણ ૧૦માં ઉતીર્ણ થયા બાદ રૂ. ૧૦ હજાર આપવામાં આવે છે. આ ઉપરાંત ધોરણ ૧૧ અને ૧૨માં વિદ્યાર્થીનીઓને માસિક રૂ.૭૫૦ લેખે કુલ ૧૦ મહિનામાં રૂ. ૧૫ હજારની સહાય તથા ધોરણ ૧૨માં ઉતીર્ણ થયા બાદ રૂ. પાંચ હજારની સહાય આપવામાં આવે છે આ માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે રૂ. ૧,૨૫૦ કરોડનું બજેટ ફાળવ્યું છે.
નમો સરસ્વતી યોજના
૨૧મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઈ.ટી. અને સંલગ્ન તકનીકો મહત્વનો ભાગ ભજવે છે. ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ ખુબ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા આ યોજના અમલી બનાવાઈ છે. આ યોજના હેઠળ એક લાખથી વધુ વિદ્યાર્થીઓને અંદાજિત રૂ. ૪૦ કરોડથી વધુની સહાય ચુકવાઈ છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ-૧૧માં માસિક રૂ.૧૦૦૦ લેખે કુલ ૧૦ મહિનામાં રૂ.૧૦ હજાર અને ધોરણ-૧૨ માં માસિક રૂ.૧૦૦૦ લેખે કુલ ૧૦ મહિનામાં રૂ.૧૦ હજારની સહાય ચૂકવાય છે. ધોરણ ૧૨માં ઉતીર્ણ થયા બાદ પાંચ હજાર મળીને કુલ રૂ. ૨૫ હજારની સહાય આપવામાં આવે છે. આ માટે ચાલુ વર્ષે રાજ્ય સરકારે રૂ.૨૫૦ કરોડનું બજેટ ફાળવ્યું છે.
વધુમાં આ યોજનાનો લાભ જે વિદ્યાર્થીઓ ધો-૧૦ની બોર્ડ પરીક્ષામાં ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી /અનુદાનિત/ સ્વ નિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા વિદ્યાર્થીઓને જ લાભ મળે છે.
આ બંને યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓની શાળામાં માસિક ૮૦ ટકા હાજરી હોવી જરૂરી છે. અરજદાર વિદ્યાર્થીની અરજી ઓનલાઈન તેમની શાળા દ્વારા જ કરવામાં આવે છે. લાભાર્થીને સહાયની ચૂકવણી સીધી જ લાભાર્થીના માતાના બેન્ક ખાતામાં DBTના માધ્યમથી જમા કરાય છે.