ગાંધીનગર — ગુજરાતનો નર્મદા ડેમ રમણીય લાગી રહ્યો છે. ડેમની સપાટી 127.46 મીટરે નોંધાઇ છે. બન્ને પાવર હાઉસમાં રોજનું 17 થી 20 મિલિનય યુનિટનું વીજ ઉત્પાદન શરૂ થઇ રહ્યું છે. નર્મદાની મુખ્ય નહેર મારફતે 8600 ક્યુસેક પાણી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવી રહ્યું છે.
સરદાર સરોવર નર્મદા નિગમના ડાયેરક્ટર પીસી વ્યાસે જણાવ્યું હતુ કે, નર્મદા બંધની જળ સપાટી આજે સવારે 127.46 મીટર થઇ છે અને લાઇવ સ્ટોરેજ 2700 MCM ની આસપાસ છે. ગુજરાતના ભાગે જે હિસ્સો આવે છે એ હિસ્સા પ્રમાણે મધ્યપ્રદેશ ડેમમાંથી અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે, જેનો સંગ્રહ સરદાર સરોવર ડેમમાં થઇ રહ્યો છે.
મુખ્ય નહેરમાંથી સૌરાષ્ટ્ર કેનાલ દ્વારા સૌરાષ્ટ્રની સૌની યોજના દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે તેમજ નર્મદા મુખ્ય નહેરમાંથી ઉદવહન કરીને ઉત્તર ગુજરાતમાં આવેલ નાના નાના જળાશયો, તળાવો વગેરે ભરવામાં આવી રહ્યા છે તેમજ સુજલામ સુફલામ કેનાલમાં પણ પાણી નાંખવામાં આવી રહ્યું છે તે સિવાય સૌરાષ્ટ્રની અલગ બ્રાન્ચો અને નર્મદા કમાન્ડની અલગ બ્રાન્ચોમાં પણ જરૂરીયાત મુજબનું પાણી પીવા માટે તેમજ સિંચાઇ માટે આપવામાં આવી રહ્યું છે.
સરદાર સરોવર નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર અશોક ગજ્જરે જણાવ્યું હતું કે, નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા ઇન્દીરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસમાથી હાલમાં પાણી આવી રહ્યું છે. આ ઉપરાંત ચોમાસાની શરૂઆત થઈ ગયેલ હોઈ નર્મદા બેઝિનના કેચમેન્ટ એરીયામાં વરસાદ પડતો હોવાથી પાણીનો આવરો હાલમાં 40,000 ક્યૂસેક જેટલો નોધાઇ રહ્યો છે તેની સામે હાલમાં પાવર હાઉસમા વીજળી ઉત્પન્ન કર્યા પછી 33000 ક્યૂસેક પાણીનો ફ્લો ભરૂચ તરફ વહી રહ્યો છે.
સરદાર સરોવર ડેમના રિવર બેડ પાવર હાઉસના 200 મેગાવોટના એક એવા પાંચ યુનિટ કાર્યરત છે એટલે કે 1000 મેગાવોટ વીજળી હાલમાં ઉતપન્ન થઈ રહી છે. આ ઉપરાંત કેનાલ હેડ પાવર હાઉસના પાંચ યુનિટમાંથી બે યુનિટ ચાલુ કરવામાં આવેલ હોવાથી 100 મેગાવોટ વીજળી ઉત્પન્ન થઈ રહી છે.કેનાલ હેડ પાવર હાઉસમા 7000 ક્યૂસેક પાણી વહી રહ્યું છે. નર્મદા ડેમમાં પાણીનો ગ્રોસ સ્ટોરેજ 6350 મિલિયન ક્યૂબીક જેટલો નોધાયેલ છે. સરદાર સરોવર ડેમની કુલ પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા 9460 મીલીયન ક્યૂબીક મીટર છે. પાણી સંગ્રહ કરવાની કેપેસીટીની સામે જુન મહીનામાં પાણીનો સારો એવો સંગ્રહ નોધાયેલ છે.
હવામાન ખાતાની આગાહી મુજબ આ વર્ષ ચોમાસુ નોર્મલ રહેવાની આગાહી કરવામાં આવેલી છે તેથી આ વર્ષે પણ નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ કુલ સપાટી સુધી થઈ શકશે એવી આશા છે. પાણીની કુલ સપાટી 138.68 મીટર (455 ફુટ) છે. સરદાર સરોવર ડેમ સાઈટ ખાતે આશરે ચાર ઇંચ જેટલો વરસાદ થયો હોવાથી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળામાં ચારેય તરફ લીલોતરી છવાયેલ હોવાથી અને નર્મદા ડેમ 127.46 મીટર ભરેલો હોવાથી દ્રશ્ય આહલાદક અને રમણીય લાગી રહ્યું છે.