ગાંધીનગર – ગુજરાતમાં લોકડાઉનનો છેલ્લો તબક્કો વધુ ગંભીર બનવાનો હોવાથી રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ લોકોએ કારણ વિના ઘરની બહાર નહીં નિકળવાની સલાહ આપી છે. તેમણે પોલીસ કર્મચારીઓને આદેશ કર્યો છે કે લોકડાઉનનો સખ્તાઇથી અમલ થાય તે ખૂબ જરૂરી છે. કોઇની પણ શેહશરમ રાખ્યા વિના લોકોને ઘરની બહાર નિકળતા બંધ કરાવો.
રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉનનો ચુસ્ત અમલ થઇ રહ્યો હોવાનો ઉલ્લેખ કરી શિવાનંદ ઝા એ કહ્યું હતું કે લોકડાઉનના અમલ દરમિયાન જે દુકાનોને ખોલવાની છુટછાટ આપવામાં આવી છે ત્યાં યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે કે કેમ તે અંગે પોલીસ વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
પાન, મસાલા, ચા- નાસ્તા, રેસ્ટોરન્ટ, હેર કટિંગ જેવી દુકાનોને ખોલવા પર પ્રતિબંધ છે, તેમ છતાં જો આવી દુકાનો ખોલવામાં આવી હશે તો દુકાનદારો તથા ત્યાં એકત્ર થયેલા ગ્રાહકો પર પણ કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવશે. લોકડાઉનના ચુસ્ત અમલ માટે ખાસ તકેદારી રખાશે અને આવું ધ્યાને આવશે તો તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરીને વાહનો પણ જપ્ત કરાશે.
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે અમુક વિસ્તારોમાં આવન-જાવન પર પ્રતિબંધ સહિત કેટલાક બ્રિજ પણ બંધ કરાયા છે તેમાં નાગરિકો તંત્રને સહયોગ આપે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવે તે જરૂરી છે. નાગરિકો જીવનજરૂરી ચીજ-વસ્તુઓ ખરીદી માટે દરરોજ બહાર ન આવતા બે-ત્રણ દિવસે બહાર નીકળીને જરૂરી સામગ્રી ખરીદે તે જરૂરી છે. લોકડાઉનના ભંગ અંગે નાગરિકોને જાણ થાય તો તુરંત 100 નંબર પર પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરશે તો પોલીસ કાર્યવાહી કરશે.
પોલીસ, આરોગ્ય કર્મચારી અને અન્ય કોઈ સરકારી કર્મચારી પર હુમલો કરનારા સામે કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતા તેમણે જણાવ્યું કે, અમરેલીના સાવરકુંડલા વિસ્તારમાં પોલીસ જવાન પર હુમલા અંગેના નોંધાયેલા બે ગુનાઓમાં આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે અન્ય એક ગુનામાં નવસારી જિલ્લામાં પોલીસ જવાન પર હુમલો કરનારા શખ્સને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં આ પ્રકારના 15 ગુનામાં 38 લોકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.