ઈતિહાસમાં પ્રથમ વખત કપાટ ખોલવાની તારીખ બદલવામાં આવી છે. હવે કેદારનાથના કપાટ 14 મે અને બદ્રીનાથના 15 મેના રોજ ખુલશે. ઉત્તરાખંડના સંસ્કૃતિ બાબતના પ્રધાન સતપાલ મહારાજે સોમવારે આ અંગે જાહેરાત કરી છે. આ અગાઉ કેદારનાથના કપાટ 29 એપ્રિલના રોજ ખુલવાના હતા અને બદ્રીનાથના 30 એપ્રિલના રોજ ખુલવાના હતા. યમનોત્રી અને ગંગોત્રીના કપાટ ખોલવાની તારીખ પણ બદલવામાં આવે તેવી શક્યતા છે. દર વર્ષ આ બન્ને મંદિર અક્ષય તૃતિયાના રોજ ખોલવામાં આવે છે, જે 26 એપ્રિલના રોજ છે. કોરોનાને પગલે દેશભરમાં લોકડાઉન છે અને કેદારનાથ બદ્રીનાથના રાવલ મહારાષ્ટ્ર તથા કેરળમાં ફસાયા હતા. કેદારનાથના રાવલ ભીમાશંકર લિંગ રવિવારે ઉખીમઠ પહોંચી ગયા છે. બદ્રીનાથના રાવલ પણ સોમવારે ઉત્તરાખંડ પરત ફર્યા છે પણ નિયમ પ્રમાણે તેમને 14 દિવસ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે, જેને પગલે આ તારીખ પર કપાટ ખોલી શકાય તેમ નથી. આ અગાઉ 1 જૂન, 2013માં આપદાના સમયે કપાટ તો ખોલવામાં આવ્યા પણ કેદારનાથ વિસ્તારમાં ભારે નુકસાનને લીધે પૂજામાં અવરોધ સર્જાયો હતો અને પૂજારી મૂર્તિને લઈ ઉખીમઠ આવી ગયા હતા. સપ્ટેમ્બરમાં સફાઈ બાદ ફરી વખત ત્યાં પૂજા થઈ અને કપાટ પરંપરા પ્રમાણે પૂરી કરવામાં આવી હતી.