સમવસરણમાં અસંખ્ય દેવો તથા માનવો વચ્ચે, 34 અતિશયો અને 35 ગુણોથી અલંકૃત વાણીમાં ભગવાને અદ્ભુત પ્રવચન આપ્યું. હજારો હૈયાં ધર્મભાવાથી તરબોળ બન્યા. બીજી બાજુ એ જ નગરમાં એક મહાયજ્ઞ શરૂ થયો હતો તે માટે અનેક વિદ્વાન બ્રાહ્મણો આવેલા હતા. એમાં અગિયાર બ્રાહ્મણો મહાવિદ્વાન હતા. એ બધાય પોતાની જાતને સર્વજ્ઞ માનતા હતા. એમાં મુખ્ય ગૌતમ-ગોત્રીય ઇન્દ્રભૂતિ હતા. એ બ્રાહ્મણોએ લોકોના મોઢેથી સાંભળ્યું કે અમો સર્વજ્ઞ બનેલા મહાવીરને વંદન કરી આવ્યા, ત્યારે ઇન્દ્રભૂતિનો ઇર્ષ્યાગ્નિ પ્રજ્વલિત બન્યો. `મારા સિવાય જગતમાં સર્વજ્ઞ છે જ ક્યાં? આ કોઈ મહાધૂર્ત લાગે છે. હું જાઉં અને એને શાસ્ત્રાર્થ દ્વારા ચૂપ કરી દઉં.’
તેઓ ૫૦૦ શિષ્યો સાથે ત્યાં પહોંચ્યા, પણ દૂરથી ભગવાનને જોતાં જ સ્તબ્ધ બની ગયા. પછી નજીક ગયા ત્યાં જ ભગવાને નામ-ગોત્રના ઉચ્ચારપૂર્વક તેમને બોલાવ્યા અને એના મનમાં `આત્મા જેવું સ્વતંત્ર દ્રવ્ય છે કે નહિ?’ એવી જે ગુપ્ત શંકા હતી, તે જણાવતાં જ તેનો ગર્વ ગળી ગયો અને `મહાવીર સાચા સર્વજ્ઞ છે’ એવી સંપૂર્ણ પ્રતીતિ થઈ. ભગવાને તરત જ યુક્તિયુક્ત અર્થવાળી ગંભીર વાણીથી શંકાનું સમાધાન કર્યું, એટલે ઇન્દ્રભૂતિએ પાંચસો વિદ્વાન શિષ્યો સાથે ભગવાન પાસે દીક્ષા લીધી. તેની જાણ અન્ય દસ વિદ્વાન બ્રાહ્મણોને થતાં તેઓ પણ ભગવાન પાસે આવ્યા. તેમની ગૂઢ શંકાઓનાં સમાધાનો થતાં હજારો (4400) શિષ્યો સાથે તેઓ પણ દીક્ષિત બન્યા. ઇન્દ્રભૂતિ મુખ્ય શિષ્ય બન્યા. પછી ભગવાને ઊભા થઈ ઇન્દ્રના હાથમાં રહેલા થાળમાંથી વાસક્ષેપ લઈ સૌના મસ્તક ઉપર નાંખી આશીર્વાદ આપી તેમને ગણધરપદે સ્થાપિત કર્યા. પ્રભુએ સહુને ત્રિપદી આપી. તેના આધારે અર્થથી સમાન પણ શબ્દથી ભિન્ન દ્વાદશાંગશાસ્ત્રોની પ્રાકૃત ભાષામાં શીઘ્ર રચના કરી અને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ શ્રીસંઘની સ્થાપના કરવા દ્વારા સ્વતીર્થ-શાસન-પ્રવર્તન કર્યું.