ગાંધીનગર – ગુજરાતમાં જૂન મહિનાથી શૈક્ષણિક સત્ર શરૂ કરવું કે કેમ તેમજ કરવામાં આવે તો કેવા વિકલ્પો રહેશે તેની ચર્ચા જૂનના પ્રથમ સપ્તાહમાં થાય તેવી સંભાવના છે. સરકારે શૈક્ષણિક સત્ર માટે ચાર મહત્વના વિકલ્પો પર વિચારણા શરૂ કરી છે જેમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાય, માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે.
ગુજરાતમાં લોકડાઉન 4.0 શરૂ થયું ત્યારથી કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વધતી જાય છે આ સંજોગોમાં સ્કૂલો અને કોલેજોમાં શૈક્ષણિક સત્ર ક્યારથી શરૂ કરવું તેની ચર્ચા રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ છેલ્લે એપ્રિલ મહિનામાં કરી હતી અને સ્કૂલો 8મી જૂનથી તેમજ કોલેજો 20મી જૂથથી શરૂ કરવાની જાહેરાત કરી હતી, જો કે વધતા જતા સંક્રમણ વચ્ચે બાળકોની સલામતી માટે સરકારે એક નહીં અનેક વિકલ્પો પર ચર્ચા શરૂ કરી છે.
31મી મે ના રોજ જ્યારે લોકડાઉન 4.0 પૂર્ણ થાય છે ત્યારે જૂનના પ્રથમ સપ્તાહમાં સ્કૂલો અને કોલેજો ક્યારથી શરૂ કરવી અને કેવી રીતે કરવી તેની ચર્ચા થાય તેવી સંભાવના છે. આ બેઠકમાં રાજ્યના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ખાનગી સ્કૂલોના સંચાલકો તેમજ વાલી મંડળો સાથે પરામર્શ કરાશે. સરકારની દ્વિધા એવી છે કે ઓનલાઇન એજ્યુકેશન શરૂ કરવામાં આવે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં બાળકો અને તેમના પરિવારો પાસે ઓનલાઇન માટે ગેજેટ્સ કે લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક સાધનોની ઉપલબ્ધતા ખૂબ ઓછી છે. તેથી બાળકો ઘરેથી તૈયારી કરી શકે તેમ નથી.
શિક્ષણ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે શૈક્ષણિક સત્ર શરૂ કરવા માટે સરકારે મેરેથોન બેઠકો કરવી પડશે, કારણ કે બાળકોના ભવિષ્ય અને આરોગ્યની ચિંતા છે. મોટાભાગની સરકારી સ્કૂલોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ એટલા માટે શક્ય નથી કે સ્કૂલોમાં વર્ગખંડોની અવગવડતા છે તેથી તેવી સ્કૂલોમાં ઓડ ઇવન સિસ્ટમ લાગુ થઇ શકે છે. સરકારે સ્કૂલવાન અને વાહનો બાબતે પણ ગાઇડલાઇન બહાર પાડવાની થાય છે જે ખૂબ જ સંવેદનશીલ ઇસ્યુ છે.
શૈક્ષણિક સત્ર શરૂ કરવા માટેના વિકલ્પો—
1. સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે બાળકોને સ્કૂલમાં આવવાની પરવાનગી આપવી
2. ઓડ ઇવન એટલે કે વર્ગખંડોમાં બાળકોના એકાંતરે દિવસે ક્લાસ લેવા
3. શક્ય બને ત્યાં ઓનલાઇન ક્લાસ શરૂ કરવા
4. બે શિફ્ટમાં સ્કૂલો શરૂ કરવી
સરકારી સૂત્રો કહે છે કે શૈક્ષણિક સત્ર વધુ 14 દિવસ લંબાવાઇ પણ શકે છે, એટલે કે 8મી જૂનથી શરૂ થતી સ્કૂલો 25મી જૂથથી પણ શરૂ કરી શકાય છે, જો કે તેનો નિર્ણય કેન્દ્ર અને રાજ્ય સરકાર પર અવલંબે છે. લોકડાઉન 4.0 પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે લોકડાઉન 5.0 શરૂ થાય છે કે કેમ તેનો નિર્ણય કેન્દ્ર સરકાર કરવાની હોવાથી હાલના તબક્કે શૈક્ષણિક સત્ર અંગે અનિશ્ચિતતા જોવા મળે છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે સ્કૂલોમાં શૈક્ષણિક સત્ર 8મી જૂને શરૂ કરવું કે કેમ તે અંગે અમે જૂનના પહેલા સપ્તાહમાં નિર્ણય લઇશું પરંતુ એટલું ચોક્કસ છે કે તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે આરોગ્યની અલાયદી ગાઇડલાઇન બનાવવામાં આવશે અને તેનું સખ્તાઇથી વિવિધ સંસ્થાઓએ પાલન કરવાનું રહેશે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.