દર મહિનાના વદ પક્ષની આઠમ તિથિને કાલાષ્ટમી અથવા ભૈરવાષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 13 જૂન, શનિવારે છે. આ દિવસે ભગવાન ભૈરવની પૂજા અને વ્રત કરવામાં આવે છે. આ વ્રતમાં ભગવાન કાલ ભૈરવની વિશેષ ઉપાસના કરવી જોઇએ. શિવ પુરાણ પ્રમાણે કાલભૈરવ ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ છે. નારદ પુરાણ પ્રમાણે દરેક પ્રકારની બીમારીઓ અને પરેશાનીઓથી બચવા માટે ભગવાન કાલભૈરવની પૂજા કરવામાં આવે છે. શિવ પુરાણ પ્રમાણે ભગવાન શંકરે ખરાબ શક્તિઓને દૂર કરવા માટે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. કાલભૈરવ તેમનું જ સ્વરૂપ છે.
દર મહિનામાં આવતી કાલાષ્ટમી તિથિએ કાલભૈરવ સ્વરૂપે ભગવાન શિવના રૌદ્દ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન ભૈરવની સાત્વિક પૂજા કરવાનું વિધાન છે. આખો દિવસ વ્રત રાખવામાં આવે છે અને સવાર-સાંજ કાલભૈરવની પૂજા કરવામાં આવે છે. નારદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, કાલભૈરવની પૂજા કરવાથી મનુષ્યની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન કાલભૈરવની પૂજાથી અકાળ મૃત્યુ થતું નથી. દરેક પ્રકારના રોગ, તકલીફ અને દુઃખ દૂર થાય છે. કાલભૈરવનું વાહન કૂતરું છે. એટલે આ વ્રતમાં કૂતરાને રોટલી અને અન્ય વસ્તુઓ ખવડાવવામાં આવે છે. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી ઘરમાં ફેલાયેલી દરેક પ્રકારની નેગેટિવ ઊર્જા દૂર થઇ જાય છે.