ગાંધીનગર- ગુજરાતના વિવિધ શહેરોમાંથી પોતાના વતન ગયેલા રાજસ્થાનના મજૂરો અને તેમના પરિવારોને રાજસ્થાન બોર્ડર પર અટકાવાયા હતા.બોર્ડર પર મેડીકલની ટીમ સાથે તેમનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જે લોકો સ્વસ્થ હતા તેમને બોર્ડર પાર કરીને રાજ્યમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
કોરોનાના કારણે ગુજરાતના શહેરોમાં રોજીરોટી નહીં હોવાથી આ મજૂર પરિવારો તેમના વતન તરફ નિકળી ગયા હતા. તેઓ પદયાત્રા કરીને જતા હતા પરંતુ સરકારના ધ્યાને આવતાં તેમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કરી આપવામાં આવી હતી. કોરોનાના કહેરને પગલે રાજસ્થાન સરકારે આંતરરાજ્ય સરહદો સીલ કરતા ગુજરાતમાંથી અંદાજે દોઢ લાખથી વધુ લોકો રાજસ્થાનમાં પ્રવેશતા સરહદ પર અટવાતા વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોટે ઉદયપુર ખાતે દોડી આવી સ્થાનિક પ્રશાસન તંત્ર અને આરોગ્ય વિભાગને સૂચના આપી ગુજરાતમાંથી પ્રવેશતા તમામ લોકોનું રજીસ્ટ્રેશન કરી સેનેટાઇઝેશન કરી પ્રવેશ આપવાની પ્રક્રિયા હાથધરી હતી.
રાજસ્થાનમાંથી ગુજરાત સહિત દક્ષિણ પ્રદેશના રાજ્યોમાં ધંધા-રોજગાર અને આજીવિકા માટે સ્થાયી થયેલા લોકોએ લોકડાઉનની જાહેરાત સાથે જ ખાનગી વાહનો અને જે વાહન મળ્યું તે લઇ અને પગપાળા વતન તરફ પ્રયાણ કરતા માર્ગો પર કીડિયારું ઉભરાયું હતું રાજસ્થાનની સરહદો સીલ હોવાથી લોકો રતનપુર ચેકપોસ્ટ નજીક અટવાયા હતા. લોકડાઉનમાં હોટેલ અને તમામ દુકાનો પણ બંધ રહેતા હાલત કફોડી બનતા શામળાજી પોલીસ અને અન્નક્ષેત્ર દ્વારા તમામ શ્રમિકો માટે પાણી ચા-નાસ્તા અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરી ખડેપગે ત્રણ દિવસ સુધી સેવા પુરી પાડી રાજસ્થાનીઓને હૂંફ આપી હતી.
રાજસ્થાન સરકારે આંતરરાજ્ય સરહદો પરથી સીલ હટાવી દઈ ગુજરાતમાંથી પરત ફરતા લોકોને પ્રવેશ આપવા માટે કામગીરી હાથ ધરી લોકોનું રજીસ્ટ્રેશન અને સેનેટાઇઝેશન કરીને જે ગામના હોય તે ગામનું નામ સરનામું લખીને રાજસ્થાનની બસો મારફતે તેમના વતન મોકલવા કામગીરી હાથ ધરી હતી.
રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર અને પોલીસતંત્ર દ્વારા ખડે પગે સરહદ પર ઉભા રહીને તપાસ હાથ ધરી બીમાર અને તાવ શરદી ઉધરસ, ખાંસીના લક્ષણો ધરાવતા લોકોને ડુંગરપુર સારવાર અર્થે અને આઈસોલેશન માટે ખસેડવાની કામગીરી રાઉન્ડ ધી ક્લોક ચાલી રહી છે.