23 ઓગસ્ટ સોમવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આજે ધોરણ 10ના રિપીટરોનું પરિણામ જાહેર થઈ ગયું છે. બોર્ડની વેબસાઈટ www. gseb. org પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે, જ્યારે માર્કશીટ માટે બોર્ડ નવી તારીખ જાહેર કરશે. ધોરણ 10ના કુલ 3 લાખ 26 હજાર 505 રિપીટર વિદ્યાર્થીએ પરીક્ષા માટેનાં ફોર્મ ભર્યાં હતાં. તેમાંથી 2 લાખ 98 હજાર 817 રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 30 હજાર 12 વિદ્યાર્થી પાસ થયા છે. ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓનું માત્ર 10.04 ટકા જ પરિણામ આવ્યું છે.
કુલ પરિણામ માત્ર 10.04 ટકા જ આવ્યું
ધોરણ 10માં 95 હજાર 696 વિદ્યાર્થિની અને 2 લાખ 3 હજાર 121 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમાં 12 હજાર 201 વિદ્યાર્થિની અને 17 હજાર 811 વિદ્યાર્થી પાસ થયાં છે. આ પરીક્ષામાં 12.75 ટકા વિદ્યાર્થિનીઓ, જ્યારે 8.07 ટકા વિદ્યાર્થીઓ પાસ થયાં છે, એટલે કે કુલ પરિણામ માત્ર 10.04 ટકા જ આવ્યું છે. 191 ઉમેદવારને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસ થયા?
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 89 હજાર 106 રિપીટર વિદ્યાર્થીઓથી 78 હજાર 215 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. એમાં 19 હજાર 32 વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે વિદ્યાર્થિનીઓની વાત કરીએ તો… 40 હજાર 727 વિદ્યાર્થિનીમાંથી 35 હજાર 439 વિદ્યાર્થિનીએ પરીક્ષા આપી હતી, જેમાં 12 હજાર 564 વિદ્યાર્થિની પાસ થઈ હતી, જેની ટકાવારી જોઈએ તો 35.45 ટકા છે. જ્યારે વિદ્યાર્થીઓમાં 24.31 ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયા છે, એટલે કે વિદ્યાર્થિનીઓ વધુ સંખ્યામાં પાસ થઈ છે. 20 ટકા પાસિંગ ધોરણનો લાભ મેળવી પાસ થનારા વિદ્યાર્થીઓ પણ 113 છે.
ધો.12 સાયન્સના માત્ર 15 ટકા રિપીટર્સ જ પાસ થયા હતા
6 દિવસ પહેલાં જાહેર થયેલા 12 સાયન્સના રિપીટર્સનું માત્ર 15 ટકા જ પરિણામ આવ્યું હતું. 12 સાયન્સના કુલ 30343 વિદ્યાર્થીએ જ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 4649 વિદ્યાર્થી જ પાસ થયા હતા. A ગ્રુપમાં 7777 વિદ્યાર્થીને પરીક્ષા આપી હતી, જેની સામે 1130 વિદ્યાર્થી પાસ થયા છે. જ્યારે A ગ્રુપમાં 1425માંથી 297 વિદ્યાર્થિની પાસ થઈ છે. B ગ્રુપમાં 9554માંથી 1151 વિદ્યાર્થી જ પાસ થયા છે, જ્યારે B ગ્રુપની 11578 વિદ્યાર્થિનીએ પરીક્ષા આપી હતી. એમાંથી 2071 વિદ્યાર્થિની પાસ થઈ છે. AB ગ્રુપના 6 વિદ્યાર્થી અને 3 વિદ્યાર્થિની હતી, જેમાંથી એકપણ પાસ થયા નથી .B કરતાં A ગ્રુપનું પરિણામ વધુ છે. એ ઉપરાંત વિદ્યાર્થીઓને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે, જેમાં પાસ થનારાની સંખ્યા માત્ર 9 છે.
રિપીટર્સે પરીક્ષા રદ કરવાની માગ કરી હતી
કોરોનાની મહામારીમાં સૌથી વધારે અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર થઈ છે. મહામારીને કારણે ઘણા સમયથી શાળા-કોલેજો બંધ હતી. ધોરણ 10-12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને સરકારે આખરે માસ પ્રમોશન આપ્યું હતું. તેમની પરીક્ષા કોરોનાને કારણે રદ કરવામાં આવી હતી, પરંતુ સરકારે ધોરણ 10 -12ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું નહોતું, જેથી તેમણે પણ માસ પ્રમોશનની માગ કરી હતી અને આ મામલે ન્યાય મેળવવા હાઇકોર્ટમાં PIL દાખલ કરી હતી. જોકે કોર્ટે પણ પરીક્ષા લેવા માટે છૂટ આપી હતી, જેથી 15 જુલાઈએ રિપીટર્સની પરીક્ષા યોજવામાં આવી હતી.
ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓનું 100 ટકા પરિણામ આવ્યું હતું
ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે, જેમાં 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપમાં 466 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે B ગ્રુપમાં 657 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થી અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. સૌથી વધુ 26,831 વિદ્યાર્થીએ B2 ગ્રેડ મેળવ્યો છે.