શુક્રવારે કારતક સુદ પૂનમે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવશે. આથી શહેરના વિવિધ મંદિરોમાં અન્નકૂટ દર્શન, મહાઆરતી અને તેલ-ઘીના દીવાથી ભવ્ય રોશનીનું આયોજન કરવામાં આવ્યું છે.
નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દેવ દિવાળી નિમિત્તે ચોંસઠ ખંડી મહાઅન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જગન્નાથ મંદિરના દીલીપદાસજી મહારાજ ઉપરસ્થિત રહીને ભદ્રકાળી માતાની આરતી ઉતારશે. આ સિવાય અસારવામાં આવેલા માતર ભવાની માતાજીના મંદિરે પણ દેવ દિવાળીએ મહાઆરતી અને ભવ્ય દીપ રોશનીનું આયોજન કરાયું છે. આ સાથે ગુરુકુળ ખાતે આવેલા માનવ મંદિરે પણ અન્નકૂટ દર્શન કાર્યક્રમ યોજાશે.
શહેરના ડ્રાઇવ-ઇન સિનેમાની પાછળ આવેલા શ્રી વૈભવ લક્ષ્મી મંદિરે પણ દેવ દિવાળી નિમિત્તે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરાયું છે. આ સિવાય શહેરના વિવિધ મંદિરોમાં દેવ દિવાળી નિમિત્તે અલગ-અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.