મુંબઈઃ કોરોના વાયરસ એક પછી એક ક્રિકેટરોને પણ પોતાના સકંજામાં લઈ રહ્યો છે. ત્યારે ભારતીય ભારતીય ટીમનો વધુ એક ફાસ્ટ બોલર હવે કોરોનાના સંક્રમણના સપાટામાં આવી ગયો છે. હજી તો ગઈકાલે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને એ પછીના ઈંગ્લેન્ડ પ્રવાસ માટે તેનું નામ જાહેર થયું છે.
મળતી વિગતો પ્રમાણે, કોલકાતા નાઈટ રાઈડર્સ વતી રમતા પ્રસિધ્ધ ક્રિષ્નાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું ન્યૂઝ એજન્સીના અહેવાલમાં કહેવાયું છે. ઈંગ્લેન્ડ પ્રવાસે જનારી ટીમ ઈન્ડિયામાં તેને સામેલ કરાયો છે. ગઈકાલે જ ટીમની જાહેરાત થઈ હતી.
આઈપીએલ રમનારા જે ખેલાડીઓને કોરોના થયો છે તેમાં ક્રિષ્ણાનો પણ સમાવેશ થયો છે. તેના સહિત 6 ક્રિકેટરો અત્યાર સુધી સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાં વરુણ ચક્રવર્તી, સંદિપ વોરિયર, અમિત મિશ્રા, સહા અને ટીમ સીફર્ટનો સમાવેશ થાય છે. આ પૈકીના ચાર ખેલાડીઓ તો કોલકાતા નાઈટ રાઈડર્સમાંથી રમે છે.
ચેન્નાઈના બોલિંગ કોચ બાલાજી અને બેટિંગ કોચ માઈકલ હસી પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. ક્રિષ્ણા આમ તો કર્ણાટકનો પ્લેયર છે. તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની વન ડે સિરિઝમાં તેનો ડેબ્યુ થયો હતો અને તેણે 3 મેચમાં છ વિકેટ લીધી હતી.